Bhavnagar
શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે ; જીતુ વાઘાણી
![It is the goal of our government that workers live with dignity; Jeetu Waghani](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-12-at-06.50.60.jpg)
કુવાડીયા
માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે, ભાવનગરમાં શરૂ થઈ નવી અન્નપૂર્ણા યોજના…જીતુ વાઘાણીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત…હજારો શ્રમિકોને 5 રૂપિયાના દરે મળશે પૌષ્ટિક ભોજન.. જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવી
રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજમદારોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે આશયથી ભાવનગર શહેરમાં જુદા જુદા ચાર કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો આજથી કાર્યરત કરવામાં આવ્યા છે. છે. જેને આજરોજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેરના આર.ટી.ઓ. સર્કલ ખાતે ઉપસ્થિત રહી આ યોજનાના કેન્દ્રોની શરૂઆત કરાવી હતી.
આ તકે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે ‘ઘરનું ચણતર’ કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
ભાવનગર શહેરના મુખ્ય ચાર કડીયાનાકા આર.ટી.ઓ. ઓફિસની સામે, મોખડાજી સર્કલ પોલીસ ચોકીની બાજુમાં, ઘોઘા રોડ 150 ફૂટ રિંગરોડ અને બોરડીગેટ પોલીસ ચોકી પાસે આ યોજના અંતર્ગત ભોજન માટેના બૂથ ઉભા કરવામાં આવેલ છે. રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. માત્ર રૂ.5માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ અપાય છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ.5માં ટોકન આપવામાં આવે છે. શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.