Bhavnagar
તહેવારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તિક્ષ્ણ હથિયાર રાખનાર લોકો સામે પગલા લેવાશે
![Action will be taken against people carrying sharp weapons to maintain law and order during festivals](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-30-at-9.11.51-PM.jpeg)
પવાર
- ભાવનગર જિલ્લામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન વગેરે તહેવારના પગલે કાર્યવાહી કરાશે ; છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર રાખવા પર પ્રતિબંધ
ભાવનગર જિલ્લામાં તહેવારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તિક્ષ્ણ હથિયાર રાખનાર લોકો સામે પગલા લેવાશે. આ અંગે ભાવનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડયુ છે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. ચાલુ ડિસેમ્બર-2022 અને જાન્યુઆરી-2023નાં માસ દરમિયાન તા. 29/12/2022ના રોજ ગુરૂ ગોવિંદસિંહ જ્યંતિ, તા. ૦૬/૦૧/૨૦૨૩ ના રોજ પોષી પુનમ, તા. ૧૦/૦૧/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા. ૧૪/૦૧/૨૦૨૩ ના રોજ મકરસંક્રાંતિ, તા. ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ વિનાયક ચોથ તથા તા. ૨૬/૦૧/૨૦૨૩ ના રોજ પ્રજાસત્તાક દિન વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય,
આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ બહાર પાડવુ જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે. જાહેરનામું તા. ૨૭/૦૧/૨૦૨૩ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંધન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે.