Bhavnagar
યુવરાજસિંહને આવ્યું ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા!
બરફવાળા
ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે નિવેદન નોંધાવવુ પડશે, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે
ડમી ઉમેદવાર કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે તેમજ આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. પોલીસે યુવરાજસિંહને કલમ 160 મુજબ સમન્સ પાઠવ્યું છે. એસઓજી ખાતે હાજર થઈને ડમી કાંડ મુદ્દે નિવેદન નોંધાવવું પડશે. અવાર નવાર પેપરલીક કાંડ મામલે વિદ્યાર્થીના પડખે ઉભા રહીને સરકારના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા યુવરાજસિંહ હાલ ભાવનગર ભરતી પરિક્ષામાં થયેલા ડમીકાંડના કૌભાંડના આરોપોમાં ફસાયા છે. તેમના જ નજીકના મિત્ર બિપિન ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક વીડિઓ વાયરલ કરીને યુવરાજ સિંહ પર ડમીકાંડમા તોડ કર્યો હોવાના આરોપો લગાવ્યા છે.
જો કે યુવરાજસિંહે આ તમામ આરોપોને ફગાવ્યા છે અને પોતે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગતરોજ સરકારના સ્પર્ધાત્મક પરિક્ષાના અન્ય ભ્રષ્ટાચારને પૂરાવા સાથે ઉઘાડા પાડવાનો પડકાર ફેંક્યો છે. ત્યારે આજરોજ ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભાવનગર પોલીસ ડમીકાંડ મામલે તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ સામે વિગતો છૂપાવવા અને વિગતો ન આપવા સામે લાંચ લીધી હોવાના પૂરાવા બાદ સમન્સ પાઠવ્યુ છે. જેમાં 11 જેટલી IPC ની કલમો લગાડવામાં આવી છે. તેમજ આવતીકાલ 19 એપ્રિલ 2023ના રોજ ભાવનગર પોલીસ મથકે સમક્ષ હાજર થવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યુ છે. હવે આવતીકાલ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવુ પડશે. યુવરાજસિંહ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં સંડોવાયેલાના નામ ન લેવા માટે ઘનશ્યામ નામના વ્યક્તિ પાસેથી 3 તબક્કામાં 55 લાખ રૂપિયાની લાંચ લીધી છે. ત્યારે હવે ડમીકાંડ મુદ્દે જે રાજકારણ રમાઈ રહ્યું છે કે કેમ? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આવતીકાલે જ આ કેસને લઈને ઘણાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.