Politics
મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશુ, વિપક્ષને નેતા પદ આપવાની પરંપરા છે – અમિત ચાવડા
કુવાડિયા
- વિધાનસભાના વિપક્ષી નેતા પદેથી અમિત ચાવડા : છેવટે કોંગ્રેસે નામ જાહેર કર્યા : ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી
ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામને દોઢ મહિના જેવો સમય થઇ ગયો છે ત્યારે હવે છેક કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષી નેતાનું નામ નકકી કરી શકી હોય તેમ વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પદે રહી ચૂકયા છે જયારે શૈલેષ પરમાર પણ સીનીયર ધારાસભ્ય છે. કોંગ્રેસ નેતાગીરી દ્વારા આજે બંનેના નામો વિધિસર રીતે જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે જ આવી ગયા હતા. ભાજપની રેકોર્ડબ્રેક જીત થઇ હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં કયારેય ન મેળવી હોય એટલી ઓછી બેઠકો પર જીત મેળવી હતી. વિપક્ષી નેતા પદ મળવા વિશે પણ શંકા દર્શાવવામાં આવતી હતી.
વિપક્ષી નેતાનું નામ પસંદ કરવા ખુદ વિધાનસભા સચિવાલય તરફથી કોંગ્રેસને તાકીદ કરવામાં આવી હતી અને 19મી જાન્યુઆરીનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું. છેવટે કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નકકી કરી શકી હોય તેમ અમિત ચાવડાને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે અને શૈલેષ પરમારને ઉપનેતા તરીકે જાહેર કર્યા છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં આંતરિક ખેંચાણ ચાલી રહી હતી તેના કારણે મામલો પેચીદો બન્યાનું કહેવાતું હતું. છેવટે હાઇકમાન્ડે બંને ધારાસભ્યોના નામ જાહેર કરાયા હતા. વિપક્ષી નેતા તરીકે જાહેર થયા બાદ તેમણે વાતચીતમાં જણાવેલ કે, લોકોની સુખાકારી માટે વિપક્ષ તરીકે મજબૂતાઇથી લડાઇ લડીશું. વિધાનસભામાં અંદર અને બહાર લોકોના પ્રશ્નો અસરકારક રીતે ઉઠાવશું. વિપક્ષી નેતા તરીકે સત્તાવાર માન્યતા મળવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે, હું પાર્ટીની વ્યવસ્થા મુજબ વિપક્ષી નેતા તરીકે ભૂમિકા કરીશ. વિપક્ષને નેતા પદ આપવું તે ગુજરાતની પરંપરા રહી છે. ઓછામાં ઓછી ૧૦ ટકા બેઠકોનો કોઇ નિયમ નથી. સરકાર પરંપરાને અનુસરે તેવી અપેક્ષા રાખીએ છીએ.