Sihor
સિહોર પંથકના 17 ગામોમાં છવાયો અંધારપટ, પીવાના પાણીને લઈને લોકો ત્રાહિમામ, ગામડાની હાલત કફોડી
પવાર
ચાર ચાર દિવસથી અંધારપટ
ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ 17 ગામોના નામ સાથે લિસ્ટ મોકલાવ્યું, કહ્યું ભારે પવન બાદ આ ગામો લાઈટ વગરના છે, અંધારપટ છે, પીવાના પાણી માટે લોકો રઝળે છે, માલઢોર તરફડે છે, અધિકારી સમયસર ફોન ઉપાડાતા નથી
ચાર દિવસ પહેલા સિહોર પંથકમાં આવેલા પવન અને વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં અનેક વીજ ડીપી અને થાંભલાઓમાં ક્ષતિઓ સર્જાઈ છે ચાર ચાર દિવસ બાદ પણ 17થી વધુ ગામડાઓમાં હજુ સુધી વીજળી ચાલુ થઈ નથી. અતિઝડપે ફૂંકાયેલા પવનથી આવેલા વાવાઝોડાએ સિહોર પંથકને ઘમરોળી નાખ્યો છે અને અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. તેમાંથી પીજીવીસીએલ પણ બાકાત રહી શક્યું નથી. ગ્રામીણ વિસ્તારોમાં વીજ થાંભલાઓ અને વીજ ડીપી પણ નુકસાનગ્રસ્ત થઇ છે. જેના કારણે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ચાર દિવસ બાદ પણ હજુ 17 થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ જણાવ્યું હતું કે, ભારે પવન અને વાવઝોડાના કારણે ગામડાઓમાં ભારે મોટું નુકસાન થયું છે. વીજળી ન હોવાના કારણે ચાર દિવસથી પાણી આવ્યું નથી. જેથી પશુપાલન સહિત લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ ઉપરાંત લાઈટ વગર પીવાના પાણીની તકલીફ સર્જાતા મહિલાઓ સહિત સ્થાનિકોની હાલત કફોડી બની છે. તો પાણી વગર પશુઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી વગર લોકોને તકલીફ પડતી હોવાથી તેવોએ વીજ પુરવઠો જલ્દીથી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. અનેક ગામોમાં છેલ્લા ચાર દિવસથી વીજળી ન હોવાથી આવા આકરા ઉનાળામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો લોકોને અને પશુઓને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. મોરીએ ગામના નામ સાથે વિગતો આપતા કહ્યું કે સરકડીયા, આંબલા, ટોડી, ખારી, વરલ, રામધરી, નાના સુરકા, પીપરડી, થોરાળા, ભુતીયા, ટાણા, વાવડી, ઢાકણકુડા, ખાંભા, દેવગાણા, સખવદર, લીબડધાર સહિતના ગામોમાં અંધારપટ છે, પીવાના પાણી માટે લોકો રઝળે છે, માલઢોર તરફડે છે, અધિકારી સમયસર ફોન ઉપાડાતા નથી.