Sihor
તપ, ત્યાગ, આરાધનાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષર્ણનો પ્રારંભઃ જૈનોમાં ધર્મોલ્લાસ
![Commencement of Parvadhiraj Paryusharna, the great festival of penance, renunciation, worship: religious ecstasy among Jains](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/mahavir-jayanti-1-1-1.jpeg)
પવાર
આત્મનિરક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ : ભકિત સંગીત, પૂ. ગુરૂભગવંતોની પ્રેરક પ્રવચનવાણી : જૈન દ્વારા આરાધનાની હેલી સર્જાશે
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલકારી પ્રારંભ થયો છે. દેરાસરોમાં રોશની, સુશોભન કરવામાં આવ્યા છે. સાથોસાથ પ્રભુજીને દરરોજ મનમોહક આંગી રચવામાં આવી છે. સિહોર સહિત જિલ્લાના દેરાસર ખાતે શ્રાવક – શ્રાવિકાઓએ પર્વાધીરાજ પર્યુષણના પ્રથમ દિવસે સેવા – પૂજાનો લાભ લીધો હતો. તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ – આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ – આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે. સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે.
દેરાવાસી જૈનોની તા.૧૬ને શનિવારે કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી – બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે – ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે. ત્યારબાદ તા. ૧૯ને મંગળવારે સંવત્સરી પર્વ જૈનો ઉજવશે.
જીનાલયોને રોશની અને કમાન – તોરણથી સુશોભિત બનાવાયા છે. આજ પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક – શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષાો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે. આજથી પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં ઠેર-ઠેર તપ, ત્યાગ અને આરાધનાનો માહોલ ઉભો થયો છે.