Bhavnagar
ભાવનગર જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

દેવરાજ
ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી ખાતે આયોજન હોલ ખાતે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. કલેક્ટરએ પડતર લોકઉપયોગી પ્રશ્નો, ઈ-સરકાર, સી.એમ. ડેશબોર્ડ વગેરે મુદ્દાઓ અંગે ચર્ચાઓ બેઠકમાં કરી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત બેઠકમાં એપ્રિલ માસમાં યોજાનાર “સ્વાગત સપ્તાહ કાર્યક્રમ” અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, સુધીરભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, ડી.વાય.એસ.પી. આર.વી.ડામોર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.