Sihor
સિહોર શહેરમાં ગંદકીના સામ્રાજયથી ભયંકર રોગચાળાની શકયતા
![The possibility of a terrible epidemic from the empire of filth in the city of Sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-9.51.38-AM-1.jpeg)
પવાર
સફાઈકર્મીઓની બેદરકારી સામે લોકોમાં વ્યાપક રાવ, નગરપાલિકાની ઉદાસીનતાથી ગંદકીનો સમયસર નિકાલ નહિ થતા માખી,મચ્છરનો દિન પ્રતિદિન વધી રહેલો ઉપદ્રવ
સિહોર શહેરમાં ગંદકીના સામ્રાજયના કારણે માખી અને મચ્છરનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો હોય ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. એટલુ જ નહિ સ્થાનિક સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દરરોજ દર્દીઓની લાંબી લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. સિહોર શહેરના દરેક વોર્ડના મહોલ્લાઓ તેમજ ખાંચા ગલીઓમાં લાંબા સમયથી સફાઈકાર્યમાં વ્યાપક પ્રમાણમાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. સફાઈકર્મીઓ દ્વારા નીયમીતપણે ગંદકીનો નિકાલ કરવામાં અખાડા કરવામાં આવતા હોય તેમજ નીયત સમયે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો ન હોય માખી, મચ્છર અને ઝીણી જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સફાઈકર્મીઓ દ્વારા ઉકરડાઓનો તથા કચરાપેટીઓ ઉપાડવામાં આવતી ન હોય ઉકરડાઓ વિકસી રહ્યા છે જયારે કચરા પેટીઓમાંથી કચરો ઉભરાઈને જાહેર માર્ગો પર આવી રહ્યો છે.
જેથી રોડ ઉપરથી પસાર થતા નાગરીકોને પણ મો ઉપર ફરજીયાત રૂમાલ રાખવાની ફરજ પડે છે. અહિં એટલી હદે ભયંકર દુર્ગંધ મારે છે જેથી આજુબાજુમાં વસતા નાગરિકોને તો ફરજીયાત તેમના મકાનોના બારી બારણા ફરજીયાતપણે બંધ રાખવાની ફરજ પડે છે. અત્રેના જાહેર માર્ગો પર પણ ગટરો ઉભરાઈ રહી છે જેથી ગટરનું દુર્ગંધયુકત દુષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળે છે. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં પારાવાર હાલાકી વેઠવી પડે છે. આવી જ રીતે શહેરના મોટા ભાગના રહેણાંકીય વિસ્તારોમાં તેમજ બજારોમાં પણ ગંદકીનું સામ્રાજય વિકસી અને વિસ્તરી રહ્યુ છે. તેમ છતાં નગરપાલિકાખના સત્તાધીશો આ ગંભીર બાબતે પણ આંખ આડા કાન કરી રહ્યા હોય જાગૃત લોકોમાં આ હકીકત ટીકાને પાત્ર બની રહી છે.