Talaja
જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તળાજાની પસંદગી કરાઇ
![Selection of Thalaja for district level Republic Day celebrations](https://shankhnadnews.com/wp-content/uploads/2023/01/content_image_73ba388b-5be8-407a-a0f1-48d93fa3b9ac.jpeg)
બુધેલીયા
12 મીએ પ્રજાસત્તાક દિનની તૈયારી અંગેની બેઠક ; તળાજાની આઈટીઆઈ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે, ધ્વજવંદન, પોલીસ પરેડ, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમનુ આયોજન
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની પસંદગી કરવામાં આવી છે. તળાજા તાલુકા ખાતે આગામી દિવસોમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિનના કાર્યક્રમના પગલે થોડા દિવસમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે અને ત્યારબાદ તૈયારીનો ધમધમાટ શરૂ થશે. તળાજા તાલુકા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આગામી તા. ર૬ જાન્યુઆરીને ગુરૂવારે કરવામાં આવશે. જિલ્લાકક્ષાની ઉજવણી માટે તળાજા તાલુકાનુ નામ નક્કી થઈને આવ્યુ છે.
તળાજા શહેરની આઈટીઆઈના મેદાન ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. આ માટે આગામી તા. ૧ર જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. ગત વર્ષે શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ડીએસપી કચેરીની પાછળ પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમ થશે.
ગુજરાત રાજ્યના મંત્રીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે પરંતુ મંત્રીનુ નામ હજુ નક્કી થઈને આવ્યુ નથી. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહેશે. શહેર-જિલ્લામાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે.