Bhavnagar
કાલથી સિહોર સહિત ભાવનગર જિલ્લામાં પોલિયો અભિયાનનો પ્રારંભ
પવાર
જિલ્લાના 0 થી 5 વર્ષના 1.67 લાખથી વધુ બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે, પોલિયો રસીકરણ માટે જિલ્લાના 1075 બૂથ પર 2017 ટીમના 4267 આરોગ્ય કર્મચારી અને 234 સુપરવાઈઝર કામગીરી કરશે
ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયો અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા. ૨૮/૦૫/૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લામાં એસ. એન. આઈ. ડી પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર છે. ભાવનગર જિલ્લામાં કાલ થી ૨૮/૦૫/૨૦૨૩ ના રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે.
જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા ૧,૬૭,૨૪૮ છે. જે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૦૭૫ બુથનુ આયોજન કરવામા આવેલ છે તેમજ કુલ ૨૦૧૭ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મુલાકાત લઈ પોલિયોની રસી પીવાડવામાં આવનાર છે. ભાવનગર જિલ્લામા ૪૧ ટ્રાન્જીટ પોઈન્ટ રાખવામા આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા ખાસ અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમા ટ્રાન્જીટ પોઈન્ટ દ્વારા પોલિયો કામગીરી કરવામા આવનાર છે તેમજ મોબાઇલ ટીમ દ્વારા પણ પોલિયો પીવાડવામા આવનાર છે. સમગ્ર કામગીરી પર સુપરવિઝન માટે ૨૩૪ સુપરવાઈઝર નિયુક્ત કરવામા આવેલ છે તેમજ દરેક તાલુકામા લાઇઝન ઓફિસર દ્વારા દેખરેખ રાખી પોલિયો રસીથી કોઈ બાળક વંચિત ન રહે તે રીતે કામગીરી કરવામા આવનાર છે. આ સમગ્ર પોલિયો રાઉન્ડમા અંદાજિત ૧૧,૦૧૩ વેક્સિન વાયલ વપરાશમા લેવામાં આવશે તેમજ લોકોમાં જાગૃતિ માટે પોલિયોની જાહેરાત માટે માઇક થકી પ્રચાર કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાયનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામા આવનાર છે. જીલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા અધિકારી-કર્મચારીઓ જહેમત ઉઠાવશે.