Palitana
પાલીતાણામાં વિદ્યાર્થિનીના મોતનો મામલો ; પરિવાર અને કોળી સમાજ આજે ફરી રેલી કાઢી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જતાં અટકાયત

પવારે – દેવરાજ
પાલીતાણા તાલુકાનાં વાળુકડ લોક વિદ્યાલયમાં વિદ્યાર્થીની મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો અને આજદિન સુધી તપાસ નહીં થતા જે મામલે પરિવાર અને કોળી સમાજ દ્વારા કૃપાલી નાં મોત મામલાની તપાસ SIT અથવા CID ને સોંપવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. છતાં પણ આજદિન સુધી તપાસ નહીં થતા આજે ફરી વખત રેલી કાઢી કલેક્ટર કચેરીએ રજુઆત કરવા જતાં પોલીસે અમુક આગેવાનોની અટકાયત કરી હતી, જો એક અઠવાડિયામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત ભરમાંથી કોળી સમાજ ઉમટી પડશે. એવી ચીમકી ઉચ્ચારી છે.
રજૂઆત કરવા મોટી સંખ્યામાં આગેવાનો દોડી આવ્યા હતા
પાલીતાણા તાલુકામાં આવેલ લોક વિદ્યાલયમાં કૃપાલીના મોતનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. હાલ આ મામલે રજૂઆત કરવા માટે આવેલા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તમામ લોકોને કલેકટર કચેરીના ગેટ પાસે રોકી દેવામાં આવ્યા હતા. કૃપાલી ડોળાસીયા નામની વિદ્યાર્થીની વાળુકડ લોક વિદ્યાલયમાં B.COM અભ્યાસ કરતી હતી જેની ચાર મહિના પહેલા પાણીનાં ટાકામાંથી લાશ મળી આવી હતી.
પોલીસ સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી
પાલીતાણા ખાતે લોક વિદ્યાલય વાળુકડમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહેતી કૃપાલી નામની વિદ્યાર્થીનીનો ત્રણેક મહિના પહેલા હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગે જે તે સમયે ભારે ખળભળાટ જવા પામ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરેલ પરંતુ પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીની હત્યા કરી લાશ નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાય માટે પોલીસ સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી.
યુવતીએ આપઘાત નથી કર્યો આ બનાવ હત્યા – પરિવારજનો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા ખેત શ્રમિક પરીવારની દિકરી કૃપાલી ભટુરભાઈ ડોળાશીયા ધોરણ-7થી જ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી લોકશાળા સંસ્થામાં રહી અભ્યાસ કરતી હતી, આ વિદ્યાર્થીની અહીં રહી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી હોય જેમાં થોડા સમય પહેલાં આ યુવતીએ કોઈ અકળ કારણોસર આપઘાત કર્યો હતો જે અંગે સંસ્થાના સત્તાધીશો એ યુવતીના પરીજનોને જાણ કરતાં પરીજનોએ સ્થળ પર પહોંચી ગયા હતા, જેમાં પાલીતાણા રૂરલ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ ઘટનામાં ઘટના ક્રમથી આજદિન સુધી પરીજનોનુ એવું રટણ રહ્યું છે કે યુવતીએ આપઘાત નથી કર્યો આ બનાવ હત્યાનો છે અને કોઈએ આયોજનબદ્ધ રીતે હત્યા જ કરવામાં આવી છે. આ અંગે તટસ્થ તથા ઝડપી તપાસની માંગ સાથે કોળી સમાજના વિવિધ સંગઠનો તથા યુવતીના પરીજનોએ કલેક્ટર, રેન્જ આઈજી તથા એસપી સહિત અનેક વખત આવેદનપત્ર તથા રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું પરિવારજનો એ આક્ષેપ કર્યા છે.