Bhavnagar
ભાવનગર ; યુવરાજસિંહના સમર્થનમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ, ગૃહરાજ્ય મંત્રી સહિત મુખ્યમંત્રીને કરી રજૂઆત

બરફવાળા
સમિતિએ રજુઆત કરી છે કે યુવરાજસિંહે રાજ્ય, પ્રજા, અને સરકાર માટે મહત્વનું કામ કર્યું છે, યુવરાજસિંહને રક્ષણ આપવામાં આવે, યુવરાજસિંહને વહેલી તકે મુક્ત કરવાની પણ માંગ
ભાવનગર ડમીકાંડમાં કેટલાક નામ જાહેર નહીં કરવા પેટે યુવરાજસિંહે રૂપિયા 1 કરોડનો તોડ કર્યાનો આક્ષેપ થતા હડકંપ મચી ગયો હતો. પોલીસે આ મામલે સાંયોગીક પુરાવાના આધારે યુવરાજસિંહની ધરપકડ કરી છે. ત્યારે ગુજરાત રાજ્યની રાજૂપત સંસ્થાની સંકલન સમિતિ યુવરાજસિંહના સમર્થનમાં મેદાને આવી છે. જેમાં આજરોજ સંકલન સમિતિના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત કરી મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. જેમાં યુવરાજસિંહને ખોટી રીતે હેરાન નહીં કરવા અને કાયદાકીય પ્રક્રિયાથી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, આજરોજ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. સાથે જ આ સમિતિએ મુખ્યમંત્રીને પણ પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
સમિતિએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા દ્વારા સરકારી ભરતીમાં ચાલતી ગેરરીતી અને ખાસ કરી ડમી ઉમેદવારો દ્વારા પાસ કરાવી ગેરકાયદેસર રીતે સરકારી ભરતીનું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે. આમ યુવરાજસિંહે રાજ્ય, પ્રજા અને સરકાર માટે મહત્વનું કાર્ય કર્યું છે. પરંતુ તેમના પર કેસ કરવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય-રાજપૂત સમાજની માગણી છે કે યુવરાજસિંહને પોલીસ રક્ષણ આપવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા માટે જરૂર તપાસ કરવામાં આવે. સાથે જ માગણી કરવામાં આવી છે કે ડમીકાંડ, પેપરલીક, નકલી ભરતી સહિત છે્લ્લા પાંચ વર્ષમાં થયેલી ભરતીની યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલા લેવામાં આવે. ઉપરાંત યુવરાજસિંહને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે પણ કાયદેસર રીતે પ્રક્રિયા કરવામાં આવે. સાથે જ યુવરાજસિંહને વહેલી તકે જામીન પર મુક્ત કરવાની પણ માંગણી કરવામાં આવી છે..