Sihor
જય વીમા યોજના હેઠળ લાયસન્સ ના હોય તો પણ ખેડૂત ખાતેદારનું વાહન અકસ્માતમાં મૃત્યુ સમયે વળતર ચૂકવવા માંગ

કુવાડીયા
- સિહોરના એડવોકેટ અને ભાજપ આગેવાન કાંતિભાઈ ચૌહાણએ સરકારમાં લેખિત રજુઆત કરી
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ગુજરનાર ખેડુત વાહન ચલાવતા સમયે મૃત્યુ પામે તેવા સંજોગોમાં ખાતેદાર ખેડુત વીમાથી અસુરક્ષીત થઈ જાય છે તેથી ખેડૂત અકસ્માત મૃત્યુ” માં લાયસન્સના કારણે વળતર ના મળે તેવો નિર્ણય ગુજરનાર ખેડુત પરીવાર માટે ન્યાયીક નથી, તેથી લાયસન્સ નથી એટલે “જય વિમા” નો લાભ ના મળે તે નિર્ણયમાં સરકારે યોગ્ય વિચાર કરવો જોઈએ. ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર તરીકે કામ કરી રહી છે. ગુજરાતના સરળ મુખ્યમંત્રી અને ગુજરાતના ખેડુતો અને ખેડુત પરીવારોની હરહમેશા ચિંતા કરતા કૃષિમંત્રી અને ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખેલ છે, ત્યારે ખેડુતો માટે ” અકસ્માત જય વીમા યોજના” માં એક ફેરફાર યાને કે સુધારો ફરજ્યાત કરવો જોઈએ, જે સુધારો કાયદેસર પણ છે અને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંત:ર્ગત ન્યાયીક પણ છે.ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતઃર્ગત ગુજરાતના કોઇપણ ખાતેદાર કે ખાતેદારના પુત્ર, પુત્રી કે પુત્રવધુ વિગેરેને અકસ્માતથી મૃત્યુ થાય એટલે તેમના વારસદારોને રૂ।.૨/- લાખની વળતરની રકમ ચુકવવામાં આવે છે અને આ યોજનાથી અકસ્માતના બનાવમાં ગુજરાતભરના ભોગ બનનાર લાભ મેળવે છે અને સરકારની સરાહનીય યોજનાની પ્રશંસા થાય છે.
ખાતેદાર ખેડુત જય અકસ્માત યોજના અંત:ર્ગત ખાતેદાર ખેડુતનું આકસ્મીક મૃત્યુ વાહન અકસ્માતથી થાય તેવા સંજોગોમાં લાયસન્સ નથી એટલે વળતરની રકમ ના મળે તે નિર્ણયમાં ફેરફાર કરવા માટે ખરા, સાચા, ન્યાયીક અને કાયદેસરના કારણો છે તે ધ્યાને લેવા નમ્ર રજુઆત છે. ખાતેદાર ખેડૂત જય અકસ્માત યોજના અંતઃર્ગત ગુજરનાર ખેડૂતનું ” અકસ્માતથી મોત” સાબિત થાય એટલે તેના પરીવારને સહાય મળવાપાત્ર થાય છે.ખેડુત અકસ્માતથી મૃત્યુ પામે એટલે કે સહાય પાત્ર ગણાય જેથી ખાતેદાર ખેડૂતના પરીવારને વળતર આપવાની બાબતમાં મરણ જનાર ખેડુત પાસે વાહન ચલાવવાનું લાયસન્સ છે કે નહી તે જોવાનું કારણ એટલા માટે નથી કે ” ખેડૂતના વીમાની રકમ સરકારશ્રી આપે છે. ગુજરનાર ખેડુત લાયસન્સ ધરાવતા ના હોય તો તેનો સરકારે વીમો તો ભર્યો છે તેથી તેના લાભથી આપણે તેને વંચિત ના રાખી શકીએ. મોટર વ્હીકલ એકટ મુજબ વાહન અકસ્માતમાં મૃત્યુ પામે અથવા તો ઇજાના કેસમા વાહનનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે વાહન ચાલક પાસે લાયસન્સ ના હોય ત્યારે લાયસન્સની બાબતની ચર્ચા કરવાની હોય છે.
વાહનનો વીમો હોય, વાહન ચાલક પાસે લાયસન્સ ના હોય તો પણ મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલ કોર્ટ વીમા કંપની પાસેથી ઈજા પામનાર અથવા મૃત્યુ પામનારના વારસોને વીમાની રકમ ચુકવી આપવાની જવાબદારી વીમા કંપનીને હુકમ કરીને આપે છે. વળતર ચુકવી આપવા ઓર્ડર થાય છે અને વીમા કંપનીને ચુકવી આપવા પડે છે. જયારે ખેડુત અકસ્માત યોજનામાં તો મરણ જનાર ખેડૂતનો વીમો જ સરકારે ભર્યો છે. મરણ જનાર ખેડુત પાસે લાયસન્સ ના હોય એટલે વારસદારોને વીમાની રકમ ના મળે તે નિર્ણયમા સુધારો કરવો આવશ્યક છે અને ન્યાયીક છે અને કાયદેસર છે, કેમકે ખેડુત છે એટલે તેના વારસદારોને વળતરની રકમ મળે છે. પછી તેની પાસે લાયસન્સ નથી તેનો ગેરલાભ ૫રીવારને ભોગવવાનો ના હોય કેમકે વાહન ચાલક પાસે લાયસન્સ હશે તો તેને વીમો મળશે તેવી વીમા કંપનીની શરત ના હોય અને જો તેવી શરત હોય તો નામદાર સરકારશ્રીને ખેડૂત તરીકે અને જિલ્લા લીગલ સેલના કન્વીનર તરીકે મારી નમ્ર માગણી અને લાગણી છે કે, આ શરત તાત્કાલીક અસરથી દુર કરી ગુજરનાર ખેડુતોના વારસદારોને સંવેદનશીલ સરકાર રહેમ રાખી ઉમદા કાર્યમાં વધારો કરે તેવી નમ્ર અપીલ છે.