Bhavnagar
તોડકાંડમાં યુવરાજસિંહની જામીન અરજી પર 4 દિવસ બાદ આવશે ચુકાદો

પવાર
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષામાં ડમી ઉદવારોએ પરિક્ષા આપી હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બહાર લાવતા ડમીકાંડનો પર્દાફાશ થયો હતો. જોકે આ ડમીકાંડમાં યુવરાજસિંહ દ્વારા તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમના જ સાથીએ બિપિન ત્રિવેદીએ કરતાં ભાવનગર પોલીસ દ્વારા તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસને આ તોડકાંડ મામલે પોલીસે કેટલાક ઠોસ પુરાવા પણ હાથ લાગ્યા હતા. ત્યારે તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા દ્વારા જામીન અરજી કરવામાં આવતા આગામી 24 જુલાઈના રોજ ભાવનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. તોડકાંડમાં સંડોવાયેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, તેમને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રેતી સંડોવી દેવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે. ગત 18 જુલાઈ સોમવાર આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા સહિત તેમના બે સાળા, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા અને રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણની ભાગનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડ કેસમાં ભાવનગર કોર્ટે ક્રમશઃ રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણ, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા, યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા ગોહિલના જામીન ભાવનગર કોર્ટે મંજુર થતાં તેઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તોડકાંડ કેસમાં માત્ર એક યુવરાજસિંહ જાડેજા જ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 24 તારીખે ભાવનગર કોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવે છે કે નહીં.