Sihor
સિહોરના રાજપરા ખોડિયારથી નારી ચોકડી સુધીનો રસ્તો ‘જૈસે થે’ની હાલતમાં મુકી દેવાયો

દેવરાજ
ઢસાથી સિહોર અને સિહોરથી રાજપરા સુધી માર્ગને રિ-કાર્પેટ કરાયો પણ નારી ચોકડી સુધીના માર્ગને રિ-કાર્પેટ કરવાનું કામ અધૂરું છોડાતા નારાજગી
ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગ સિહોર શહેરની મધ્યમાંથી પસાર થાય છે. આ માર્ગને રિ-કાર્પેટ કરવાની કામગીરી છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે. ઢસાથી સિહોર સુધી અને સિહોરથી રાજપરા સુધી આ માર્ગને રિ-કાર્પેટ કરાયો. પરંતુ રાજપરાથી નારી ચોકડી સુધીનો માર્ગ જૈસે થે હાલતમાં છોડી દેવાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં આ બાબતે અચરજ ફેલાયું છે. ઢસાથી નારી ચોકડી સુધીના માર્ગમાં સિહોર શહેરમાં અને રંગોલીથી નારી ચોકડી સુધીના માર્ગમાં વધારે ટ્રાફિક રહેતું હોય છે.
સિહોર બસ સ્ટેશનથી દાદાની વાવ સુધીનો માર્ગ તૂટી ગયો છે. રોડ પર વાંકા-ચૂંકા પટ્ટા દેખાય છે તો રાજપરાથી નારી ચોકડી સુધીના માર્ગ પર અનેક જગ્યાએ થીંગડા મારેલા છે. થીંગડા ઉપર થીંગડા મારવાથી કેટલીક જગ્યાએ રોડ પર મોટો ઢોરો દેખાય છે આથી અહીં અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. મે માસ બાદ જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયે ચોમાસું બેસી જતું હોય છે. આથી ચોમાસાં પૂર્વે રિ-કાર્પેટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તે જરૂરી હોય છે જ્યાં સૌથી વધુ વાહનો દોડે છે તે વિસ્તારમાં જ રોડના નવીનીકરણની કામગીરી ખોરંભે ચડી છે.