Sihor
ખેડૂતો ફફડી ઉઠ્યા ; સિહોરના ભડલી અને જાળીયા વચાળે આવેલ વાડીમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી

દેવરાજ
ગઈકાલે મોડી રાત્રીએ દીપડો વાડીમાં ઘૂસ્યો, વાછરડીને ઢસડીને લઈ જઈ ફાડી ખાઇ મારણ કરી મિજબાની માણી ; પંથકમાં વારંવાર પશુઓના મારણ કરવાના બનાવો વધતાં ખેડૂતોમાં ફફડાટ : વનવિભાગ દોડી ગયું
સિહોર પંથકમાં રાની પ્રાણી પશુઓ અવાર નવાર દિપડા દેખા દે છે અને મારણ પણ કરતા હોય છે ત્યારે સિહોરના ભડલી અને જાળીયા વચાળે આવેલ ખેતર વાડીમાં ગતરાત્રીના સમયે વાછરડીનું મારણ કરતા આસપાસનાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે સિહોરના ભડલી અને જાળીયા વચાળે આવેલ હિતેષભાઈ કંટારીયાના ખેતરે બાંધેલી વાછરડી પર રાત્રે દિપડાએ હુમલો કરતાં મોત નીપજ્યું હતું.
જ્યારે વહેલી સવારે ખેતરે રહેલા પશુઓને દોહવા ગયેલ ખેડૂતને વાછડી મૃત જોવા મળતાં આસપાસનાં ખેડૂતો ભેગા થઇ ગયા હતાં. બનાવને લઈ ફોરેસ્ટ વિભાગ દોડી ગયો હતો અને વળતર માટે જરૂરી કાર્યવાહી કરેલ હતી. અવારનવર બનતી ઘટનાથી ખેડૂતોને વાડીએ જતા ફફડાટ રહે છે. ગઈકાલે રાત્રી દરમિયાન દીપડાએ વાડીમાં ઘૂસીને બાંધેલા વાછરડાનો શિકાર કર્યો હતો. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. જંગલખાતા દ્વારા દીપડાને ઝડપી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવા ગ્રામજનોની માગ છે. છેલ્લા ઘણા સમયથી સિહોર પંથકના વિસ્તારમાં દીપડાનો ત્રાસ છે.
દીપડો વાડી ખેતરોમાં બાંધેલા પશુઓનો શિકાર કરી જાય છે. વાછરડીનો શિકાર કરવાના બનાવના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. જંગલખાતા દ્વારા દીપડાને ઝડપી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરાય એ ઇચ્છનીય છે.