Sihor
સિહોરની સરકારી હોસ્પિટલની હાલત અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી થઈ ગઈ

પવાર
- પ્રાથમિક સારવાર આપી દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે, ઈમરજન્સી વાહનમાં દર્દીને લાવવામાં આવે ત્યારે જ ડોકટર હાજર હોતા જ નથી, વ્યાપક રાવ
એક લાખથી વધુની વસ્તી ધરાવતા અને ૭૦ થી વધુ ગામો ધરાવતા સિહોર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલની હાલત અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી થઈ ગઈ છે. ગમે ત્યારે ઈમરજન્સી વાહનમાં દર્દીને લાવવામાં આવે ત્યારે ડોકટર હાજર હોતા જ નથી જેથી સિહોર તાલુકાની જનતામાં રોષની લાગણી જન્મી છે. શહેર અને તાલુકામાં છાસવારે વાહન અકસ્માત, પોયઝન, બર્ન્સ, મારામારી, ઝઘડા સહિતના બનાવો બનતા હોય છે આ ઉપરાંત શહેર અને તાલુકાના અસંખ્ય ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શિવાદ સમાન સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે દિન પ્રતિદિન અનેક દર્દીઓ આવતા હોય છે. અહિ જયારે જયારે ઈમરજન્સી કેસો આવતા હોય છે ત્યારે ત્યારે ફરજ પરના ડોકટરો પ્રાથમિક સારવાર આપીને દર્દીને ભાવનગર ખાતે રીફર કરી દેવામાં આવે છે. અહિં ડોકટરોની જગ્યાએ સીસ્ટર કે કમ્પાઉન્ડર દ્વારા તબીબી સારવાર કરવામાં આવે છે. તાજેતરમાં સિહોરનો ચાર વર્ષનો માસુમ પાણીના ટાંકામાં પડી ગયો હતો.
ત્યારે તેને સિહોરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પર કોઈ ડોકટર હાજર ન હોય જેના કારણે વિલંબ થતા તે માસુમ બાળકનું કરૂણ મોત નિપજયુ હતુ. દરમિયાન તે બનાવ અંગે સંબંધિત વિસ્તારના માજી સભાસદો તથા અન્ય નાગરીકો દ્વારા પણ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ છે. સિહોરની સરકારી હોસ્પિટલમાં ઓપરેશનને લગતી તમામ લાખો રૂપીયાની મશીનરી લાંબા સમયથી યથાવત હાલતમાં પડી રહી છે. ડોકટરોની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે આ મોંઘીદાટ મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે એટલુ જ નહિ ઘણી તો ખરાબ પણ થઈ ગયેલ છે. સિહોરની સરકારી હોસ્પિટલમાં હાલ માત્ર ને માત્ર સામાન્ય તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓને જ સારવાર આપવામાં આવે છે જયારે કોઈ મોટા અકસ્માતના દર્દીને ભાવનગર જ ફરજીયાત રીફર કરવામાં આવતા હોય આ હોસ્પિટલની હાલત અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી થઈ ગઈ છે જેથી ઉચ્ચ કક્ષાએથી આવા ડોકટરો ઉપર તવાઈ લાવવી જરૂરી બની ગયેલ છે તેથી સિહોર તાલુકાની જનતામાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.