Bhavnagar
યુપીના દલિત નેતા ચંદ્રશેખર ઉપર ફાયરીંગ કરનાર શખ્સો સામે કડક પગલા ભરો : હાઇસિકયુરીટી આપો

કુવાડિયા
- ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટીનું યુપીના રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન
આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાના આગેવાન રાજુભાઇ સોલંકી, જગદિશભાઈ બોરીચા, અશોકભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, ગીરધનભાઈ પડયા, વિગેરેએ યુપીના રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ઉત્તર પ્રદેશના દલિત નેતા ચંદ્રશેખર આઝાદ ઉપર ફાયરીંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક પગલા લેવા તથા ફરીથી આવી ઘટના ના ઘટે તે સબબ ચંદ્રશેખરને તત્કાલક હાઇ સિકયોરીટી આપવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, ઉત્તર પ્રદેશના દેવબંધ ખાતે ભીમ આર્મી નામક દલિત સંગઠનના સંસ્થાપક એવા દલિત સમાજના રાષ્ટ્રીય યુવા નેતા શ્રી ચંદ્રશેખર આઝાદ પર આશરે ચાર જેટલા અજ્ઞાત હુમલાખોરોએ ફાયરીંગ કરીને ગોળી મારી છે. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયેલ છે. દેશમાં મોટાભાગના રાજયોમાં દલિતો પર હુમલા અને અત્યાચારના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ બાબતની ગંભીરતા લઇને તત્કાલ ચંદ્રશેખર આઝાદને હાઇ સિકયોરીટી આપવામાં આવે તદઉપરાંત હુમલામાં શામિલ તમામે તમામ ઇસમોની તત્કાલ ધરપકડ કરીને તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઇપણ આંદોલનકારી દલિત નેતાઓ ઉપર આવા હિચકારી હુમલાઓ થતા અટકે.