Bhavnagar
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામેના તમામ કેસ પાછા ન ખેંચાય તો રાજયભરમાં આંદોલન : રાજુ સોલંકી

કુવાડિયા
આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર કલેકટરને અપાયું આવેદનપત્ર
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામેના તમામ કેસ પાછા નહીં ખેંચાય તો ભાવનગર સહિત રાજયભરમાં આંદોલનના મંડાણ કરાશે તેવી ચેતવણી આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરીને આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનોની આ રજુઆતના પગલે કલેકટર કચેરીમાં આજે પોલીસના ધાડેધાડા ખડકાય ગયા હતા. આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો કલેકટર કચેરીમાં ઉમટી પડયા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે રાજય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે અનેક પેપર ફુટયા અને પરીક્ષાઓ રદ કરવી પડી છે. ત્યારે રાજય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અનેકો યુવાનોની તૈયારી ઉપર આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા, એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કડી મળી છે.
એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ ના લીધી. ખરેખર તો રાજયના યુવાનોના સપનાને જીવતદાન આપવા એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઇએ. એને બદલે જેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ, આરોપીઓ આંગળી ચીંધે જે ખુદ આરોપી, ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માંગવા એ રાજય સરકારની નિષ્ઠા વિશે શંકા ઉભી કરે છે. આ સંજોગોમાં યુવરાજસિંહ સામેના તમામ કેસ પાછા ખેંચવામાં આવે તેમજ સમગ્ર કૌભાંડની પોલીસના બદલે હાઇકોર્ટ/સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે તેમ પણ તેઓએ માંગ ઉઠાવી છે.