Gujarat
બાબા બાગેશ્વર વિવાદમાં હવે કોંગ્રેસે ઝુકાવ્યું : મોંઘવારી-ભ્રષ્ટાચાર સહિત 9 સવાલોના જવાબ આપવા પડકાર

બરફવાળા
રામદેવ-અન્ના હજારેની જેમ ભાજપે જ બાબા બાગેશ્વરને આગળ ધર્યા છે, ભાજપના ધારાસભ્ય જ આયોજક : 2024 પૂર્વે રાજકીય ખેલ હોવાનો મનીષ દોશીનો આરોપ
મધ્યપ્રદેશનાં બાગેશ્વર આશ્રમનાં પિઠાધીપતિ બાબા બાગેશ્વરનાં રાજકોટ, અમદાવાદ તથા સુરતમાં યોજાનારા કાર્યક્રમો સામે વિરોધ-વિવાદ શરૂ થઈ જ ગયા છે અને હવે કોંગ્રેસે પણ તેમાં ઝંપલાવ્યુ છે. બાબા બાગેશ્વરના નામે ભાજપનો ચૂંટણી ખેલ છે. અગાઉની ચૂંટણી વખતે બાબા રામદેવ, અન્ના હજારે, શ્રીશ્રી રવિશંકરનો સહારો લેવાયો હતો તેજ ધોરણે હવે 2024 ની ચૂંટણી પૂર્વે બાબા બાગેશ્વરને આગળ ધરવાનો ખેલ હોવાનો આક્ષેપ ગુજરા કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કર્યો છે. તેઓએ આજે અમદાવાદની પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે ભાજપે 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે રણનીતીનાં ભાગરૂપે જ બાબાને આગળ ધરીને જનતાનું ધ્યાન ભટકાવવાનો ખેલ શરૂ કર્યો છે 2014 અને 2009 ના ચૂંટણી વચનો પૂર્ણ કરી ન શકનાર ભાજપ પાસે ફરી મત માંગવાના કોઈ મુદ્દા નથી એટલે બાબાનો આશરો લીધો છે.
ભાજપ પર સીધો આરોપ કરતાં મનિષ દોશીએ કહ્યું કે સુરતમાં બાબાના કાર્યક્રમનાં આયોજક ભાજપના જ ધારાસભ્ય છે. રાજકોટ-અમદાવાદના આયાજકોનાં કનેકશન પણ તપાસનો વિષય છે. તેઓએ એવી ટકોર કરતા 9 સવાલ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાની સુખ-સમૃદ્ધિ માટે બાબાએ 9 સવાલોનાં જવાબ આપવા જોઈએ. ગુજરાતમાં સસ્તુ-ગુણવતાયુકત શિક્ષણ કયારે મળશે, સરકારી ભરતીનાં કૌભાંડીયાઓનો ખુલાસો કયારે થશે અને તેમાં સંડોવાયેલા મોટા માથા કોણ છે? કર્મચારીઓનું ફીકસ પગારની આર્થિક શોષણ કયારે દુર થશે? અબજો રૂપિયાનાં ડ્રગ્સ-દારૂ કોણ મોકલે છે અને કયારે અટકશે. બેફામ મોંઘવારીમાંથી કયારે મુકિત મળશે.ભ્રષ્ટાચાર કયારે અટકશે? નદીઓના પાણી કયારે શુદ્ધ થશે? ગૌચરની જમીન ખાઈ જનારાને ખુલ્લા કરવા સહીતનાં સવાલ તેમનાં દ્વારા પૂછવામાં આવ્યા હતા.