Gujarat
સૌરાષ્ટ્રમાં કુદરતની થપાટ આગળ માનવી બન્યો લાચાર, ચારેય કોર પાણીથી જનજીવન ખોરવાયું..

બરફવાળા
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચારેય કોર તબાહીના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાઈ જવાને કારણે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીના સમાનની પણ નુકસાની થઈ છે. ગઈકાલથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા જોઈએ તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સિઝનનો 50 ટકા જેટલો વરસાદ 24 કલાકમાં જ નોંધઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં હજુ આવતા 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈ લોકો કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે લાચર બન્યા છે. જૂનાગઢના માગરોળમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત જગ્યાએ તંત્ર દ્વારા સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે લોકોની સમય સૂચકતાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પણ માલ મિલકતને મોટા પાયે નુકશાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી હાઈવે પણ પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે કેટલાક હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જેને લઈ હાઈવે પર કિલોમીટર સુધી ચક્કાજામના દૃશ્યો સર્જાયા છે. વાહન વ્યવહાર બંધ થઈ જતા વાહનચાલકો હાઈવે પર ફસાઈ પર ફસાઈ ચૂક્યા છે.
માંગરોળનું ઝરીયાવાડા ગામ મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર બન્યું છે. તેમજ લોકોના ઘરોમાં કમર સુધીનું પાણી ભરાઈ જતા તેમને સ્થળાંતરીત કરવાની ફરજ પડી છે. ગઈકાલથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકોને પોતાના ઘરવખરીનો સમાન છોડી જીવ બચાવવા જહેમત કરવી પડી રહી છે. અનરાધાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે. જૂનાગઢના કેશોદમાં પણ વરસાદે તબાહી મચાવી છે, સવારના સમયે કેશોદના સિલોદર ગામમાં નદીના પ્રવાહના કારણે પુલ તૂટ્યો હતો. જેમાં પૂલ પરથી પસાર થઈ રહેલા બે વિદ્યાર્થી ફસાયા હતા. જોકે ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો પુલ પાસે પહોંચ્યો હતો. ધસમસતા નદીના પ્રવાહ વચ્ચે ફસાયેલા બંને વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. જૂનાગઢ, વેરાવળ, રાજકોટ અને ગીરસોમનાથના ગામડાઓની સ્થિતિ ખૂબ કફોડી બની છે. લોકોના અનાજ અને ઢોર પાણીમાં ગરકાવ થયા છે. તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા જગતના તાતને ફરી એકવાર નુકસાનીનો મારો સહન કરવાનો વારો આવ્યો છે.