Sihor
સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઈ રાઠોડે પોતાનું ઇનોવેશન રજૂ કર્યું.
દેવરાજ
જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન સિદસર, ભાવનગર ખાતે 19 અને 20 જાન્યુઆરી 2023ના રોજ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું હતું જેમાં ભાવનગર જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 50 જેટલા શિક્ષકોએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું. આ ઈનોવેશનમાં સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઈ રાઠોડે “બાળવાર્તા થકી બાલશિક્ષણ અને સંખ્યાજ્ઞાન” પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું.
આ ઇનોવેશનમાં તેમના દ્વારા સૌપ્રથમ ગિજુભાઈની બાળ વાર્તાઓના પુસ્તકોમાંથી નાની અને રોચક વાર્તાઓ પસંદ કરી તેને એક A4 પેપરમાં ટાઇપ કરી અને નીચે અર્થગ્રહણ માટેના 5 જેટલા પ્રશ્નો વાર્તા આધારિત આપવામાં આવે જેમાં બાળકો પહેલા વાર્તા વાંચે, સમજે અને તેના જવાબો લખે જેથી બાળકોમાં વાંચન સુધરે, જોડણી ભૂલ ઓછી કરે, વિચારે, વાર્તા જાણે, લેખન કૌશલ્ય વધે. આ ઇનોવેશનની શરૂઆત તેમના દ્વારા વેકેશનમાં કરવામાં આવી હતી તેઓ વેકેશનમાં પણ શાળાએ આવતા અને બાળકોને વાર્તાઓ વાંચવા આપતા, વેકેશન બાદ દરરોજ સવારે 8 વાગ્યે શાળાએ પહોંચી બે કલાક બાળકોના વાંચન અને અર્થગ્રહણ વિકસે તે માટે પ્રયત્નો કર્યા. પોતાના ખર્ચે 10 હજાર રૂપિયાના પુસ્તકો ખરીદી બાળકોમાં વાર્તા વાંચન માટેની જીજ્ઞાશા વધારી. આ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવામાં ડાયટ ભવન ભાવનગરના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ અને ભાવનગર જિલ્લા ઇનોવેશન સેલના કો-ઓર્ડીનેટર વિપુલભાઈ વાજાનો ભગીરથ ફાળો છે.