Bhavnagar
આયુર્વેદિક સીરપમાં સરકારનું ષડયંત્ર : મોટા મગરમચ્છોને પકડી રાષ્ટ્રદોહની કલમ લગાડો : કોંગ્રેસ

દેવરાજ
ભાવનગર જિલ્લામાં ખુલ્લેઆમ વેચાણ છતાં સરકારના આંખ આડા કાન, કેમિકલયુક્ત પીણાથી લઠ્ઠાકાંડ થશે તો જવાબદાર કોણ ? નશાકારક પીણા બંધ નહીં થાય તો આંદોલન છેડવા ચિમકી
યુવાધનને નશાની લગમાં ધકેલનારા આયુર્વેદિક સીરપમાં સરકારનું ષડયંત્ર હોય તેમ માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવી રહી છે. જ્યારે આવા નશાકારક પીણા બનાવતા મોટા મગરમચ્છોને પકડવામાં સરકાર અને સરકારી તંત્રના હાથ ધુ્રજી રહ્યા હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી. રાજ્યના અન્ય શહેરોની જેમ ભાવનગર જિલ્લામાં પણ આયુર્વેદિક સીરપના નામે કેમિકલયુક્ત પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યમાં યુવાનોને બરબાદ કરનારૂં આયુર્વેદિક સીરપના નામે મોટાપાયે ષડયંત્ર ચાલી રહ્યું છે. રાજકોટ, મોરબી અને અન્ય શહેરોમાં સીરપ પકડી કાર્યવાહી કરાઈ રહી છે.
તો ભાવનગર જિલ્લામાં પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોરોમાં આયુર્વેદિક સીરપના નામે આલ્કોહોલ મિશ્રિત સીરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ ભાવનગર શહેર કોંગ્રેસે સમિતિના પ્રમુખ, આગેવાનો, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને વિવિધ સેલના આગેવાનો, કાર્યકરોએ આજે શુક્રવારે ઘોઘાગેટ ચોકથી નશાના રાક્ષસ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેમિકલયુક્ત પીણાથી લઠ્ઠાકાંડ થશે તો તેના જવાબદાર કોણ ? તેવો સવાલ કરી નશાકારક પીણા બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વધુમાં આયુર્વેદિક સીરપના નામે યુવાનોને નશાના અંધારામાં ધકેલવામાં આવી રહ્યા છે. આવી ગંભીર બાબત છતાં સરકારે નાની માછલીઓને પકડી પણ મોટા મગરમચ્છો સુધી તેમના હાથ પહોંચી શકતા નથી. આ મામલે કોઈ બોલે તો તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થાય છે. તો પછી મોટા માથાઓને છાવરવાના બદલે તેમને પકડી રાષ્ટ્રદ્રોહની કેમ કલમ લગાડવામાં આવતી નથી ? તેવો રોષભેર સવાલ કરાયો હતો.