Sihor
દશામાના વ્રત : અધિક માસની અસમંજસ વચ્ચે અષાઢ વદ સોમવતી અમાસથી સિહોર સહિત જિલ્લાભરમાં 10 દિવસીય વ્રતનો પ્રારંભ થશે

દેવરાજ
અષાઢના મેઘાડંબર માસની શરૂઆત થતા ની સાથે જ વિવિધ ધાર્મિક તહેવારો અને વ્રતોનો મહિમા શરૂ થઈ જાય છે. પ્રતિ વર્ષે અષાઢ વદ અમાસથી દશા હરનાર મા દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. ચાલુ વર્ષે ગુજરાતી કેલેન્ડર વર્ષમા અધિક શ્રાવણ માસ હોય આ મહિનામાં વેદ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ સારું કર્મ કરી શકાતું નથી. જોકે અધિક માસની અસમંજસ વચ્ચે અષાઢ વદ સોમવતી અમાસથી સિહોર સહિત જિલ્લાભરમાં દશામાના 10 દિવસે વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહો વચ્ચે આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વ્રત ધારી મહિલાઓ સહિત શ્રદ્ધાળુ ભક્તો દ્વારા દશામાના વ્રત કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના દ્વારા મૈયાની ભક્તિમાં લીન બની જશે ત્યારે વ્રત ના એક દિવસ પૂર્વે આજે અષાઢવદ ચૌદશના દિવસે સિહોરમાં વ્રત ધારી મહિલાઓ દશામાની મૂર્તિ સહિત પૂજાપાનો સામાન ખરીદવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો.
બજારમાં શ્રદ્ધાળુઓએ દશામાંની મૂર્તિની ખરીદી કરી હતી. તો મૂર્તિઓની સાથે સાથે મયાની સ્થાપના કરવા માટેના પાટલા ઉપરાંત પૂજાપો ચુંદડી અને પ્રસાદીની પણ ખરીદી કરી હતી. ત્યારે આવતીકાલે સોમવતી અમાસની સવારે શુભ મુહૂર્તમાં વ્રત ધારી મહિલાઓ દશામાની વિધિવત સ્થાપના કરી પૂજા અર્ચના સાથે વ્રતનું પ્રારંભ કરશે. અષાઢ વદ અમાસને સોમવારથી દશા માતા વ્રત ઉત્સવનો આરંભ થઇ રહ્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લાની બહેનોમાં ધર્મમય માહોલ જામ્યો હતો. સિહોર શહેરમાં દશા માતાની મૂર્તિઓ, સાંઢડીઓ તેમજ પૂજાપો મેળવવા માટે બજારોમાં બહેનોની ભીડ જામી હતી. ચીકણી માટીની વિવિધ આકારવાળી દશામાની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં સાંઢણી, શંખ, શિવલીંગ, કમળ, ભેંસ ઉપર દશામૈયા બિરાજમાન હોય તેવી મૂર્તિઓની માંગ વધારે જોવા મળી છે. માતાજીના વ્રતમાં મહોલ્લે-મહોલ્લે, ગામે-ગામ અને શહેર-શહેર દશામાના ગુણગાન ગવાશે