Sihor
જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : બુધવારે જાગરણ

દેવરાજ
- જયા પાર્વતી વ્રત નિમિતે પૂજા અર્ચના, જિલ્લામાં વ્રતધારી કન્યાઓ શિવ મંદિરોમાં પૂજા-અર્ચના કરી સારો ભાવિ પતિ મળે તેવી કામના કરી
અષાઢ સુદ તેરસથી બહેનોના જયાપાર્વવતી વ્રતનો પ્રારંભ થયો છે. જેમાં પાંચ દિવસ સુધી ઉપવાસ-ફળાહાર કરી જવેરા અને ગોરમાનું પૂજન કરવામાં આવે છે. છેલ્લા દિવસે આખી રાત્રીનું જાગરણ કરી પ્રભુ સ્મરણ કરવામાં આવે છે. દંતકથાઓ મુજબ કુંવારીકાઓને સારો વર મળે અને ઘર પરિવારની સુખાકારી જળવાઇ રહે તે માટે આ વ્રત કરવામાં આવતુ હોય છે. આ વ્રત કુંવારી બહેનો રહે છે અને સાસરે જઇ તેનું ઉજવણું કરે તેવી પ્રથા હોય છે. આમ કુંવારી અને પરીણીત બહેનો આ વ્રત રાખે છે. શનિવારથી જયાપાર્વતી વ્રતનો આરંભ થતા બહેનો નવા વસ્ત્રો ધારણ કરી મંદિરોમાં ગોરમાની પૂજા અર્ચના કરી હતી.
સિહોર શહેર અને જિલ્લામાં આવેલા શિવ મંદિરો ખાતે વ્રતધારી કન્યાઓ શિવ મંદિરોમાં ભગવાન મહાદેવની સમક્ષ મા પાર્વતીની પૂજા-અર્ચના કરી સારો ભાવિ પતિ મળે તેવી કામના સાથે શિવજીની પૂજા કરી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારી કન્યાઓ સોળે શણગાર સજી શિવ મંદિરો ખાતે જયાપાર્વતી વ્રતની પુજા-અર્ચના કરી હતી. બાળાઓના વ્રતનો આજે ત્રીજો દિવસ છે અને પાંચ દિવસ પૂરું થાય એટલે બાળોઓ 12 વાગ્યા સુધીનું જાગરણ પણ કરે છે. વિવિધ શિવાલયોમાં આજે વહેલી સવારે કુંવારી કન્યાઓ સારો જીવનસાથી મેળવવા ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો પરિણીત મહિલાઓએ પોતાના અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે શિવજીને ફૂલ ચડાવી પૂજા કરી હતી, શિવાલયોમાં વ્રતધારી કન્યાઓએ શિવલિંગ ઉપર દૂધ, દહીં, મધ જેવા પંચામૃત અભિષેક કરી ભગવાન શિવની આરતી ઉતારી હતી. આમ શહેરમાં ગૌરી વ્રતની સાથે સાથે જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થયો હતો