Bhavnagar
ભાવનગર : ફૂટપાથ પર રહેતા પરિવારની ગુમ થયેલી બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

ધવલ વાજા – ભાવનગર
ભાવનગરના પાનવાડી રોડ પર આવેલ ફૂટપાથ ઉપર રહેતા પરિવારની ચાર વર્ષની બાળાનું થોડા દિવસ પહેલા અપહરણ થયા બાદ આજે બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના પાનવાડી રોડ પીલ ગાર્ડનની ફૂટપાથ ઉપર રમકડા વેચતા પરિવારની ચાર વર્ષની બાળાનું થોડા દિવસ પહેલાં અપહરણ થતાં બાળકીની માતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બાળાનું અપહરણ કરનાર શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા બાળકી ની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સને સાથે રાખીને શહેરના નવા બંદર, અમૃત સરોવર પાસે આવેલ બાવળની ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ કબજે કરી હોસ્પિટલ ખસેડ્યો હતો.
બાળકીની હત્યા થઈ હોવાની જાણ થતા ડી વાય એસ પી આર. આર.સિંગલ, પી.આઈ. ગજ્જર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફ.એસ.એલ. ટીમ સહિતનો કાફલો નવા બંદર દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહ કબજો મેળવી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ બનાવ અંગે શખ્સની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.