Gujarat
ગુજરાતનાં પ્રત્યેક નાગરીક પર 63000 નુ દેવુ

Brfwala
પ્રજાના નાણાં તો લુંટાયા જ છે: તમામ માહિતી જાહેર કરવા ઈશુદાન ગઢવીની માંગ
ગુજરાત ભાજપમાં આંતરીક રાજીનામાં તથા કથિત ભ્રષ્ટાચારની ચર્ચા વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ તેમાં ઝંપલાવ્યુ છે.ભાજપ નેતા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોય તો માત્ર રાજીનામાને બદલે તપાસ કરવાની માંગ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કરી છે. આપનાં પ્રદેશ પ્રમુખે કહ્યું કે યુનિવર્સીટીઓમાં નાણાંકીય ગેરરીતી તથા જમીન કૌભાંડોની ચર્ચા વચ્ચે ભાજપમાં કેટલાક રાજીનામાં પડયા છે. ભલે આ ભાજપની આંતરીક બાબત હોવા છતાં કૌભાંડ-ભ્રષ્ટાચારનાં નાણા ગુજરાતની પ્રજાના છે ત્યારે ઉંડી તપાસ થવી જોઈએ. ભાજપમાં પત્રીકાકાંડનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે ભ્રષ્ટાચાર સંબંધી કોઈપણ મુદાની તપાસ થવી જોઈએ. એવી વાત વહેતી થઈ છે કે આતંકવાદ વિરોધી ઓપરેશન કરતી એસઓજીએ એક નેતાની અરજીનાં આધારે બીજા નેતાની તપાસ કરી હતી આમ પોલીસની ભુમિકા શંકાસ્પદ છે.
તપાસમાં શુ નીકળ્યુ તે વિશે એસઓજીએ માહીતી જાહેર કરવી જોઈએ રાજીનામાં આપનારા નેતાના કૌભાંડોની તપાસ ઈડી મારફત થવી જોઈએ. એક જમીન કૌભાંડની વાત બહાર આવી છે જેમાં એક પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જો હજારો કરોડની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે તો આમાં બીજા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ કારણ કે એક અધિકારી આટલું મોટું કૌભાંડ કરી ન શકે. અને જો એ જમીન ખોટી રીતે અપાઇ છે તો તે જમીન હાલ કયા બિલ્ડરોના નામે છે અને તે જમીનને સરકાર કરવામાં આવે તેની આમ આદમી પાર્ટી માંગ કરે છે. જો આ બાબતની તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે ઇડીની ઓફિસ પર જઈને આ બાબતની રજૂઆત કરીશું. ગુજરાતનું દેવું ચાર લાખ કરોડ થઈ ગયું છે અને પ્રત્યેક ગુજરાતી પર 63 હજારની આસપાસનું દેવું છે અને બીજી બાજુ ભાજપના લોકો સરકાર ચલાવે છે કે પોતાના ઘર ભરે છે એના પણ ખુલાસા થવા જોઈએ.