National
Article 370 કેસમાં દરરોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ, CJIની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચ સંભળાવશે ચુકાદો

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ હવે 2 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે. કોર્ટે આ મામલે વિવિધ પક્ષકારોની લેખિત દલીલો અને દસ્તાવેજો રજૂ કરવા માટે 27 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.
શેહલા રાશિદની અરજી સ્વીકારી
આ સાથે, કોર્ટે કલમ 370ને પડકારતી અરજીકર્તાઓની યાદીમાંથી પોતાનું નામ હટાવવાની શેહલા રશીદની અરજીને સ્વીકારી લીધી છે, જ્યારે IAS અધિકારી શાહ ફૈઝલને સૂચિમાંથી તેમનું નામ હટાવવા માટે અરજી કરવાનું કહ્યું છે.
કેન્દ્ર સરકારે Article 370નો બચાવ કર્યો
આ પહેલા કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો બચાવ કર્યો છે. કેન્દ્રએ કોર્ટમાં નવેસરથી એફિડેવિટ દાખલ કરી છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે Article 370 નાબૂદ થયા બાદ સમગ્ર પ્રદેશમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિનો અભૂતપૂર્વ યુગ જોવા મળ્યો છે. કલમ 370 નાબૂદ કરવાના ઐતિહાસિક બંધારણીય પગલાથી પ્રદેશમાં વિકાસ, પ્રગતિ, સુરક્ષા અને સ્થિરતા આવી છે જે અનુચ્છેદ 370 અમલમાં હતી ત્યારે ગેરહાજર હતી.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે
કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, પથ્થરબાજીની ઘટનાઓ હવે શૂન્ય છે. એટલું જ નહીં, હવે આતંકવાદ વિરોધી કાર્યવાહીના પરિણામે આતંકવાદી ઇકો-સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે. આ બધું કેન્દ્રની નીતિઓને કારણે શક્ય બન્યું છે.
Article 370 હટાવીને બે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી
નોંધનીય છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. કલમ-370 હટાવીને કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરને લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું.