Bhavnagar
ભાવનગર જિલ્લામાં સાંસદના હસ્તે પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ, 666થી વધુ જળસંચયના કામો કરાશે

પવાર
- ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનો પ્રયાસ
સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, જળ એ જ જીવન છે ની ભાવનાથી કામ કરતી રાજ્ય સરકાર છે જળ સંચયના આગોતરા આયોજન માટે 2018માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજના થકી કામગીરી કરવાથી જમીનના તળ ઉંચા આવે છે ઉંધી રકાબી સમાન સૌરાષ્ટ્રના પ્રદેશ માટે સુજલામ સુફલામ યોજના આશીર્વાદ રૂપ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની માંગ છે.
જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન પૃથ્વી ઉપર પાણી ઘટતું જાય છે ત્યારે જળ સંચય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી સંગ્રહ કરવા માટેની ખૂબ જ સારી યોજના છે. જળસંચય એ સામૂહિક જવાબદારી છે ત્યારે જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે.