National
શંકરસિંહ વાઘેલા અને અખિલેશ યાદવની મુલાકાતથી રાજકીય ગરમાવો

કુવાડિયા
- બંને પૂર્વ સીએમની મીટીંગ વિપક્ષોને એક કરવાની કવાયતની ચર્ચા : સમાન નાગરિક સંહિતાને લઇને વાઘેલાએ કહ્યું- આ મોદીની માર્કેટીંગની રીત છે
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં અત્યારથી જ રાજકીય પક્ષો લાગી ગયા છે. તેમાં ના તો ભાજપ બાકાત છે ના કોંગ્રેસ ના અન્ય વિપક્ષી દળો. હાલમાં વિપક્ષી દળોના ગઠબંધનના પ્રયાસો ચાલી રહ્યા છે જેના વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદીના એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને બુધવારે મળવા પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ સિપાહી શંકરસિંહે આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ નામ આપ્યું છે. વાઘેલાએ વાતચિતમાં કહ્યું કે, હું અહીં શિષ્ટાચાર ભેટ માટે આવ્યો હતો, જો રાજનૈતિક વાત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકનો મુખ્ય હેતુ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ વિપક્ષોને એક કરવાનો હતો.બસપા સુપ્રીમો માયાવતીએ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કટાક્ષ કર્યો અને ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે, વિપક્ષી દળોના વ્યવહારથી નથી લાગતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પોતાના ઉદ્દેશ્યને લઈને ગંભીર હોય. આવી સ્થિતિમાં વાઘેલા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની મુલાકાતને પણ રાજકીય મહત્વ માનવામાં આવે છે. નોંધપાત્ર રીતે, વાઘેલાએ ગુજરાતમાં ત્રીજા દળનો પ્રયોગ કર્યો અને રાષ્ટ્રીય જનતા પાર્ટી અને જનવિકલ્પ મોરચા અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી. જો કે, 2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વાઘેલા રાજ્યમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ હતા. નોંધનીય છે કે વાઘેલા ભાજપથી અલગ થયા બાદ 1996માં લગભગ એક વર્ષ સુધી મુખ્યમંત્રી બન્યા હતા.