Sihor
અટલબિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રવિવારે સિહોરમાં સુશાસન દિવસ ઉજવાશે
![On the occasion of Atal Bihari Bajpayee's birthday, BJP will celebrate Good Governance Day in Sihore on Sunday](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-23-at-15.35.27.jpg)
પવાર
કેન્દ્રિયમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં સુશાસન સહયોગીઓ જિલ્લાના ધારાસભ્યોનું કરાશે સન્માન
પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ શ્રી અટલબિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રવિવારે સિહોરમાં સુશાસન દિવસ ઉજવાશે. તાજેતરમાં ચૂંટાયેલા સુશાસનના સહયોગીઓ ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી મૂકેશભાઈ લંગાળિયાના જણાવ્યા મૂજબ આગામી રવિવાર તા.૨૫ ડિસેમ્બર એટલે પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મ દિવસ છે, જે નિમિત્તે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવણી થનાર છે અને સુશાસનના સહયોગીઓનું સન્માન કરાશે.
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ તથા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે. ભાવનગર જિલ્લામાં મતદારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ભાવના સાથે થઈ રહેલા સર્વાંગી વિકાસ અભિગમને સમજી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, જે ગૌરવરૂપ બાબત હોઈ રવિવારે સવારે સિહોર ખાતે મંત્રી બનેલા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી શંભુનાથજી ટુંડિયા, શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવનાર છે.
ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત ધારાસભ્યોના આ સન્માન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર ‘મન કી બાત’ પ્રસારણના શ્રવણમાં સૌ આગેવાન કાર્યકર્તાઓ લાભ લેશે. સિહોર ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અગ્રણીઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ તેમજ અન્ય હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહેશે.