National
આવતા ગુરૂવારે ઇસ્લામી નવુ વર્ષ : કરબલાની સ્મૃતિમાં બનતા તાજીયા

પવાર
પૈગમ્બર સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદાર સહિત ૭૨ શહીદોની યાદમાં મનાવાશે મહોર્રમ માસ તાજીયાનું નિર્માણ : થોડા દિવસ પછી મહોર્રમ માસ શરૂ થનાર છે. આ માસમાં ખાસ કરીને તાજીયા બનાવવામાં આવે છે. દર વર્ષ આ તાજીયા ફેરવીને પરત ઇમામખાનામાં મૂકી દેવાય છે અને નવા વર્ષ માટે તેને નવો ઓપ અપાય છે તો અમૂક ઇમામખાનામાં નવેસરથી જ તાજીયા બનાવાય છે, ૨૯મીએ શનિવારે આશૂરા મનાવાશે
આગામી ગુરૂવારના રોજ ઇસ્લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૫ નો પ્રારંભ થનાર છે. હાલમાં ઇસ્લામી પંચાગનો હજજનો ૧ર મો મહિનો જીલ હજજ ચાલી રહ્યો છે. જેના ૩૦ માં દિવસે એટલે કે તા. ૧૯-૭-ર૦ર૩ ના બુધવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઇ તા. ર૦-૭-ર૦ર૩ ગુરૂવારે ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪૪ ચાલી રહી છે જે ર૦ મીથી ૧૪૪પ માં પરિવર્તીત થઇ જશે. મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો છે. જો કે જીલ હજજમાં ઇદ ઉજવાઇ હતી. જે પર્વ પણ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઇ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંન્ને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.
તા. ર૦ થી મહોર્રમ માસ શરૂ થનાર હોય ત્યારે આ મહિનામાં ખાસ ઇસ્લામી ૧૦ મી તારીખના દિને આશૂરાહ પર્વ મનાવશે જે આ વખતે તા. ર૯ મી જૂલાઇના દિવસે રહેશે અને એ દિવસે શનિવાર હશે. ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા. ર૬-૭-ર૦ર૩ શનિવારના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા. ર૮-૭-ર૦ર૩ શુક્રવારના સાંજે તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે. ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમદ સાહેબના દૌહીત્ર હઝરત ઇમામ હુસૈનએ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મેદાનમાં યુધ્ધ ખેલીપોતાના ૭ર પરીવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહીદી પામી ઇતિહાસના પાને અમર થઇ જતા આ ભવ્ય બલીદાન ગાથાની સ્મૃીતમાં દર વર્ષે મહોરમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે. અને તેનો આશુરાના દિવસે જાહેરમાં હિન્દુ મુસ્લીમો એક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોય ભાઇચારાની ભાવના એ સમયે મહેકી ઉઠે છે.