Sihor
ભયંકર બેદરકારી ; સિહોરમાં પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ – લોકોમાં ભભૂકતો રોષ
પવાર
લોકોને દસ-દસ દિવસ પીવા પાણી મળતુ નથીને રોડ ઉપર પાણી વહે છે, નગરપાલીકાના વોટર વર્કસ વિભાગની ઘોર બેદરકારી : શહેરીજનોમાં ભારે નારાજગી
સિહોરમાં ભાવનગર રોડ જાગૃતિ પાસે પાણીની લાઇન તૂટી જતાં છેલ્લા કેટલાક દિવસોથી અમુલ્ય પાણીનો બગાડ થઇ રહ્યો છે. આ બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકાને રજુઆત કરવા છતાં આ લાઇનને રિપેર કરવા માટે તંત્રની ઊંઘ ઊડતી નથી. આ લાઇનને વહેલામાં વહેલી તકે રિપેર કરી આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રેશરથી પાણી મળી શકે અને અમુલ્ય પાણીનો વેડફાટ અટકે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. શહેરીજનોને આઠ-દસ દિવસ સુધી પીવાનુ પાણી મળતુ નથી ત્યારે બીજી તરફ પાણીની લાઈન ટુંટતા જાહેર માર્ગ પર પાણી વેડફાઈ રહ્યુ છે. પાણીના થતા બગાડને લઈ નગરપાલીકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતના છોટા કાશી ગણાતા સિહોર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યુ છે.
શહેરમાં ગંદકી અને પાણી પ્રશ્નને પ્રજા બાંગ પોકારી ઉઠી છે. એક તરફ શહેરીજનોને ઘરે પીવા માટે આઠ દસ દિવસ સુધી પાણી નથી મળતુ ત્યારે પાણી માટે વલખા મારવાની નોબત આવી પડી છે. તો બીજી તરફ શહેરના માર્ગ પર પાણીની લાઈન તુટતા પાણી રોડ ઉપર વહી રહ્યુ છે. લોકોને પીવા પાણી મળતુ નથી ત્યા પાણીનો વેડફાય થતો જોવા મળી રહ્યો છે. પરંતુ નગરપાલીકાના તંત્રનુ પેટનુ પાણી હલતુ નથી. લોકોના પ્રશ્નને વાચા આપવી તે દુરની વાત છે. પરંતુ તેઓનુ જે કામ છે. તે કરવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. સિહોરના ભાવનગર રોડ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા રોડ ઉપર પાણી વેડફાઈ રહ્યું છે. છતા તેના માટે જવાબદાર નગરપાલીકાના વોટર વર્કસના કર્મચારીઓ, અધીકારીઓ અને ચીફ ઓફીસરનું પેટનું પાણી હલતુ નથી. એક બાજુ સિહોર શહેરના મોટાભાગના વિસ્તારોમાં દર આઠ દસ દિવસે ઘરે-ઘરે પાણી સપ્લાઈ કરવામાં આવે છે જેને લઈ લોકો પાણી પ્રશ્ને પરેશાન છે. ત્યારે બીજી તરફ ટુટેલી લાઈન રીપેરીંગ કરવામાં વહીવટી તંત્ર આળસ કરી રહ્યુ છે. જેના કારણે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ અંગે ગંભીરતા લઈને ટુટેલી પાણીની લાઈનનુ મરામત કામ વોટર વર્કસનો સ્ટાફ કરશે કે પાણીને વહેવા દેશે. તેવા જનમાનસમાં સવાલો ઉઠી રહ્યા છે.