Bhavnagar
ભાવનગર અને ઘોઘા પંથકના ખેડૂતો પિયતના પાણીની જોઈ રહ્યા છે રાહ : રવિ પાક માટે કેનાલ મારફત પૂરતું પાણી આપવા માંગ.

બરફવાળા
ઘણા વર્ષોથી આ કેનાલમાં પૂરતું પાણી નથી મળતું, પાણી કર ચૂકવવા છતાં નથી મળતું પાણી જેથી પાક બગડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે, શાકભાજી અને બાગાયતી પાક સાથે રવીપાક માટે પૂરતું અને સમયસર કેનાલ મારફતે પાણી મળી રહે તેવી માંગ.
ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના ખેડૂતો ચોમાસાના વરસાદ આધારિત ખેતી ઉપરાંત કેનાલ મારફત મળતા સિંચાઇના પાણી આધારિત ખેતી પર નિર્ભર છે, આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો શાકભાજી અને બાગાયતી ખેતી કરી રહ્યા છે, ચોમાસા બાદ શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે ખેડૂતોને સિંચાઇના પાણી પર આધાર રાખવો પડે છે, આ વિસ્તારના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે 4 પાણ ના ફોર્મ ભરી દીધા બાદ પણ પૂરતા પ્રમાણમાં અને સમયસર કેનાલનું પાણી મળતું નથી. ત્યારે સમયસર અને પૂરતું સિંચાઇનું પાણી મળી રહે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ભાવનગર અને ઘોઘા તાલુકાના 30 થી વધારે ગામના ખેડૂતો શાકભાજી અને બાગાયતી ખેતી કરી રહ્યા છે, ભાવનગર શહેરની અડધી વસ્તીને આ ગામોના ખેડૂતો શાકભાજી અને ફળો પૂરા પાડી રહ્યા છે, પરંતુ અનેક ગામના લોકોને ચોમાસા બાદ સિંચાઇના પાણી પર આધાર રાખવો પડે છે, દરિયાકાંઠાની નજીક આવેલા ગામોમાં ખારાશ નું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે કૂવાના પાણી પણ ખારા થઈ રહ્યા છે, ખેતી માટે પાલીતાણા શેત્રુંજી ડેમ સિંચાઇ યોજનાની ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી ખેતી માટે સિંચાઇનું પાણી આપવામાં આવે છે, ખેડૂતોને કેનાલ મારફત મળતા પાણી માટે ખૂબ રાહ જોવી પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવતા આ વિસ્તાર માથી પસાર થતી ડાબા કાંઠા મુખ્ય કેનાલ ને જોડતી સબ કેનાલ દ્વારા સિંચાઇનું પાણી આપવામાં આવે છે, પરંતુ કેનાલનું પાણી આ ગામ સુધી પહોંચે ત્યાં સુધીમાં પાણી વિતરણની અવધિ પૂર્ણ થઈ જતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી.