Sihor
IPL ફાઈનલ પર રમાયો કરોડોનો સટ્ટો : ગુજરાત પર લગાડનારા રડ્યા, બન્નેને ‘ખાનારા’ જીત્યા : બુકીઓની હાલત ખરાબ

દેવરાજ
સિહોરમાં જ અનેક પંટરોએ મેચ શરૂ થયાની એકાદ-બે કલાક પહેલાં ‘એડવાન્સ’માં ગુજરાતની જીત પર પૈસા લગાવ્યા બાદ છેવટ સુધી કપાત ન કરી જેના કારણે ગયું મોટું નુકસાન: ગુજરાતે 214 રન બનાવી લેતાં તે જીતી જશે તેવું અનેક પંટરોએ માની લીધું, જો કે વરસાદે તમામ સમીકરણો બગાડ્યાનો ગણગણાટ, બૉર્ડ પર બન્ને ટીમનો ભાવ 25-25 પૈસા આવતાં પંટરોએ બન્ને ટીમને ખાઈને પેટ ભરી લીધું ! ફાઈનલમાં ગમે તે થઈ શકે તેમ હોવાનું ભાળી જઈ મહત્તમ બુકીઓએ સોદા લેવાનું અગાઉથી જ બંધ કરી દીધું’તું, જે ‘એક્ટિવ’ રહ્યા તેમને ધોવામાં પંટરોએ કોઈ કચાશ બાકી ન રાખી: આ વખતની આઈપીએલ ‘પંટરફ્રેન્ડલી’ રહ્યાનો બુકીઓનો મત
આમ તો આઈપીએલ શરૂ થઈ ત્યારથી પોલીસની બુકીઓ-પંટરો ઉપર કડક ધોંસ હોવાને કારણે મહત્તમ સટોડિયાઓએ કાં તો સિહોરની બહાર જઈને પોતાનો ગોરખધંધો શરૂ કર્યો હતો કાં તો ધંધો કરવાનું જ ટાળ્યું હતું. જો કે અનેક બુકીઓ એવા પણ છે જેઓ મનમાં એવો ફાંકો રાખીને બેઠા હતા કે ‘પોલીસ આવશે તો જોઈ લેશું’ ! આ પ્રકારની ભ્રમણાને મનમાં રાખી અનેકે ધંધો ધમધમાવ્યે રાખ્યો હતો. હવે આઈપીએલ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બુકીબજારમાં કોણ હાર્યું, કોણ જીત્યું તેની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગઈકાલે રમાયેલી ‘દિલધડક’ ફાઈનલ મેચમાં પણ એકલા સિહોરમાંથી કરોડો રૂપિયાનો દાવ ખેલાઈ ગયો હોવાની વાતો સામે રહી છે. જો કે આ મેચ પંટરોને જ ફળી હોય તેવી રીતે બુકીઓ માથે ઓઢીને રડી રહ્યા છે. બીજી બાજુ ગુજરાત જ જીતશે તેવું માનીને તેના ઉપર માતબર રકમ લગાડી દેનારા પંટરોને મોટું નુકસાન ગયું હોવાનું તેમજ બન્ને ટીમને ‘ખાનારા’ (ગુજરાત-ચેન્નાઈ બન્નેની હાર ઉપર પૈસા લગાડનારા) પંટરો માલામાલ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બુકીબજાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મેચમાં જીતવા માટે પ્રારંભે ચેન્નાઈ ફેવરિટ હતું અને તેનો ભાવ 90-91 પૈસા ખુલ્યો હતો પરંતુ પહેલાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવી લેતાં તેનો ભાવ 37-38 પૈસા થઈ ગયો હતો. એકંદરે 20 ઓવર સુધી ગુજરાત જ જીત માટે ‘ફેવરિટ’ રહ્યું હોવાથી મહત્તમ પંટરોએ ગુજરાતની જીત પર પૈસા લગાવ્યે રાખ્યા હતા. બીજા દાવમાં ચેન્નાઈ જ્યારે બેટિંગમાં આવ્યું ત્યારે ત્રણ જ બોલમાં વરસાદ શરૂ થઈ જતાં મેચ અટકાવવી પડી હતી. અંદાજે બે કલાક પછી મેચ શરૂ થયા બાદ ચેન્નાઈને જીત માટે 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ પછી તેણે છ ઓવરમાં વિના વિકેટે 72 રન ઝૂડી નાખતાં ગુજરાતની જગ્યાએ જીત માટે તે ફેવરિટ બની ગયું હતું. છ ઓવરથી 10 ઓવર સુધીમાં ચેન્નાઈએ બે વિકેટે 112 રન બનાવતાં તેનો ભાવ 40-41 થઈ ગયો હતો. આ રીતે બીજા દાવની દસ ઓવરમાં જ ચેન્નાઈનો ભાવ નીચો આવી જતાં ગુજરાત પર પૈસા લગાડનારા પંટરોના શ્ર્વાસ અધ્ધર ચડી ગયા હતા. એકંદરે બન્ને ટીમનો ભાવ 25-25 આવી જતાં ‘શાણા’ પંટરોએ બન્ને ટીમને ખાઈ લઈ પોતાનો નફો બુક કરી લીધો હતો. આમ થવાને કારણે ગમે તે જીતે પરંતુ પૈસા પંટર જ કમાય તેવી સ્થિતિ નિર્માણ પામી જતાં બુકીઓને મોટું નુકસાન ગયું હતું. આ મેચમાં નુકસાન માત્ર ગુજરાત તરફી પૈસા લગાડનારા પંટરોને જ ગયું હોવાનું અને ઓવરઓલ બુકીઓના કરોડો રૂપિયા ધોવાઈ ગયાની વિગતો બહાર આવી રહી છે.