Alang
અલંગના અલગ અલગ ગામોમાં ટીપી સ્કીમ મંજૂર તથા ખેડૂતોનો ઉગ્ર વિરોધ : આંદોલનના એંધાણ

મિલન કુવાડિયા
આસપાસના 500 ખેડૂતોની ટીપી સ્કીમમાં જમીન છીનવાય જાય છે, સુરતની એક ખાનગી કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમને કોઈ ખેડૂતોને જાણ પણ કરી નથી, સર્વેની કામગીરી પાછળ 80 થી 90 લાખની ખર્ચ કરવામાં આવ્યો હોવાની વાત છે, ત્રાપજ ખાતે વિવિધ ગામોના સરપંચ સહિત ખેડૂતોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચાર કર્યા, ખેડૂત દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ સરકારને આપવામાં આવ્યું જો કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ થશે
અલંગનાં ગામોમાં ટીપી સ્કીમ મંજૂર થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે 500 જેટલા ખેડૂતોની ખેતીલાયક જમીન છીનવાઈ જવાના ડરતી ખેડૂતોનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે ખેડૂતોની ભાજપ સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો દસ દિવસમાં ખેડૂતો રોડ પર ઊતરી આંદોલનનું બીગુલ ફૂંકશે ખેડૂતોનો આક્ષેપ છે કે સુરતની એક ખાનગી કંપનીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી જે કંપનીએ સર્વે દરમિયાન ખેડૂતોને જાણ પણ કરી નથી. તળાજા તાલુકાના અલંગ ત્રાપજ ગામોની ટી.પી. સ્કીમ-૧, કઠવા મહાદેવપરા ટી.પી.સ્કીમ-૨ અને અલંગ-મણાર ટી.પી.સ્કીમ-૩ ને તાજેતરમાં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે તે અંગે તમામ જમીન માલિકો તથા તમામ ગામના ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.
અલંગ સત્તા મંડળ દ્વારા અલંગ વિસ્તારમાં ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી છે જેને લઇને ખેડૂતોમાં ભારે વિરોધનો શરૂ થયો છે આ ટીપી સ્કીમને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રેલી કાઢી અલંગ સત્તા મંડળની ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્રોશ છે કે આ ત્રણેય ટી.પી.સ્કીમ સામે ઓનર્સ મીટીંગ વખતે વાંધા દર્શાવેલા ત્યારબાદ મુસદાપ યોજના સામે પણ ૧૦૦% જમીન માલિકો અને ગ્રામજનોએ લેખીતમાં જુલાઇ ૨૦૨૦ અને સપ્ટેમ્બર ૨૦૨૦ માં વાંધા રજુ કરેલ છે. છતાં પણ આજ ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવી છે. ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મોટાભાગની જમીન ઉપર બગીચાઓ છે તથા ૧૦૦% પિયત છે સૌથી મહત્વની વાત એ છે કે જે જગ્યા પર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે ત્યાં એશિયાની સૌથી સારી ક્વોલિટીની કેરી નું ઉત્પાદન બાદ એક્સપોર્ટ કરવામાં આવતું હોય છે
બાગાયતી પાક માટે ફળદ્રુપ જમીન પણ મોટા પાયે ટીપી સ્કીમમાં સામેલ છે જેના ઉપર મહતમ રોજગારનો આધાર છે. તે કારણોસર આ ટી.પી.સ્કીમનો અમલ કરવો યોગ્ય નથી. અલંગ ઉદ્યોગના કારણે પણ આટલી મોટી જમીન ટાઉન પ્લાનીંગમાં લેવી અન્યાયી અને અયોગ્ય છે. ખેડૂતોએ વખતો વખત વાંધાઓ આપેલ હોવા છતા તે અંગે સુનાવણી માટે બોલાવવામાં આવતા નથી અને મનસ્વી નિર્ણયથી ટી.પી.સ્કીમ મંજુર કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. એક તરફ રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે જેવો ખેડૂતોની સરકાર હોવાના દાવા કરે છે જ્યારે બીજી તરફ ભાવનગર અલંગના અલગ અલગ ગામોમાં ટીપી સ્કીમ મંજૂર કરી દેવામાં આવતા ખેડૂતોની ખેતીલાયક જમીન પણ ખતમ થઈ જવા પર છે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી છે આ સાથે જ કૃષિ મંત્રીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોની વાત સમસ્યા કોઈ સાંભળવા માટે તૈયાર નથી ત્યારે ખેડૂતોએ ચીમકી ઉતારી છે કે જો 10 દિવસમાં ટીપી સ્કીમ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન સાથે રોડ પર ઉતરશે.