Palitana
શ્રી નાની રાજસ્થળી કેન્દ્રવર્તી શાળા ખાતે સત્રાંત પરીક્ષા અંગે મોક ટેસ્ટ યોજાઈ

- આગામી સત્રાંત પરીક્ષા માટે આ મોક ટેસ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે
વિદ્યાર્થીઓને સત્રાંત પરીક્ષા પહેલાં પોતાનામાં આત્મવિશ્વાસ કેળવાય અને તેઓ પૂરી સ્વસ્થતાથી પરીક્ષા આપી શકે તેવાં હેતુ સાથે આજે શ્રી નાની રાજસ્થળી કેન્દ્રવર્તી શાળા ખાતે સત્રાંત પરીક્ષા પહેલાની મોક ટેસ્ટ યોજવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકાની આ શાળામાં સંત્રાત પરીક્ષાની તૈયારી તથા બાળકોમાં પરીક્ષાનું વાતાવરણ નિર્માણ કરવાના પ્રયત્ન સ્વરુપ સત્રાંત પરીક્ષા મોક ટેસ્ટ ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી.
અધ્યયન નિષ્પતિ આધારિત તમામ વિષયના સમન્વયથી ૧૦૦ માર્કનું પેપર વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીને માનસિક રીતે પરીક્ષા અગાઉ આ પ્રયોગ ખૂબ ઉપયોગી રહે તેવા હેતુથી આ સત્રાંત પરીક્ષાના મોક ટેસ્ટનું આયોજન શાળાના આચાર્યશ્રી રૂપલબા રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
શાળા પરિવારના અશરફભાઈ, ઝીણાભાઈ તથા જયદીપભાઇ દ્વારા આ અંગેની તમામ રૂપરેખા તથા પેપર સેટિંગ કરવામાં આવ્યું હતું.
નીતેશભાઈ, ભૂમિકાબેન, શ્વેતાબેન તથા જિજ્ઞાસાબેન દ્વારા અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નો પેપર તૈયાર કરવામાં આવ્યાં હતાં અને તેને આધારે ગુણ અને માળખાની ગોઠવણી કરવામાં આવી હતી.
આ આયોજનની સફળતા પર પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અતુલભાઇ મકવાણા દ્વારા શાળા પરિવારને આવા સુંદર આયોજન માટે અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ મોક ટેસ્ટના લીધે બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે અને આગામી સમયમાં યોજાનાર સત્રાંત પરીક્ષામાં તેઓ પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને પુરા અભ્યાસ સાથે સફળતાપૂર્વક પરીક્ષા આપશે.
શાળાના વિદ્યાર્થીઓએ પણ આ નવા પ્રયોગને આવકારી ઉત્સાહપૂર્વક મોક ટેસ્ટમાં ભાગ લીધો હતો. અભ્યાસ પ્રત્યેની તેમની લગની અને નિષ્ઠા સહેજે જોઈ શકાતી હતી.
– સુનિલ પટેલ