Bhavnagar
ટોલટેક્સ ભરીને પણ ઉબડ-ખાબડ રસ્તા કેમ સહન થાય સરકાર? ચોમાસામાં બેસી જાય એવા તકલાદી હાઈ-વે શું કામના?
પવાર
- નાગરિકો ટોલટેક્સ ભરે છે છતા નબળી ગુણવત્તાના રસ્તા, સામાન્ય રસ્તા તો ઠીક નેશનલ હાઈ-વેની પણ ખરાબ હાલત, નેશનલ હાઈ-વે ઉપર અનેક સ્થળે ખાડાવાળા રસ્તા, નક્કી ન થઈ શકે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો
તાજેતરમાં પડેલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર રોડ ધોવાઈ જતા મોટા મોટા ખાડા પડ્યા છે. ત્યારે નેશનલ હાઈવે પર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. ટોલટેક્સ ભરતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખરાબ છે. ત્યારે આ ખાડાઓનાં કારણે મોટી દુર્ઘટનાં સર્જાય અને લોકો મૃત્યું પામે તો જવાબદાર કોણ નેશનલ હાઈવે ઓર્થોરીટી, એજન્સી કે સરકાર.? સામાન્ય માણસની એ અપેક્ષા હોય કે તે જે વસ્તુ કે સુવિધા માટે કિંમત ચુકવે છે તે સુવિધા કે તેવી જ ક્વોલિટીની વસ્તુ તેને મળવી જોઈએ. આવું જ કંઈક આપણે નેશનલ હાઈ-વેના સંદર્ભમાં કહી શકીએ.
સરકાર રોડ ઉપર વાહન હંકારવા માટેના મેઈન્ટેનન્સના ભાગરૂપે ટોલટેક્સ વસૂલે છે જેમાં દર વર્ષે લગભગ વધારો જ થાય છે પરંતુ તેના બદલામાં આપણને સુવિધાજનક હાઈ-વે મળે છે ખરા?. આ સવાલનો જવાબ આપણે જાતને પૂછીએ તો કદાચ ના આવશે. આપણી વાતને વધુ દ્રઢ બનાવે છે નેશનલ હાઈ-વે ઉપર ખાડાને કારણે સતત બનતી અકસ્માતની ઘટના. ટોલટેક્સ બેફામ રીતે વસૂલવામાં આવે છે.નાગરિકો ટોલટેક્સ ભરે છે છતા નબળી ગુણવત્તાના રસ્તા છે. સામાન્ય રસ્તા તો ઠીક નેશનલ હાઈ-વેની પણ ખરાબ હાલત છે. નેશનલ હાઈ-વે ઉપર અનેક સ્થળે ખાડાવાળા રસ્તા નક્કી ન થઈ શકે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે. લોકો ટોલટેક્સ ભરે છે જેના બદલામાં તે સારા રોડ મેળવવાના હકદાર છે. હાઈ-વેના રસ્તાઓનું રિપેરિંગ કરતી એજન્સી પણ હાથ ખંખેરી નાંખે છે. ખાડાઓને કારણે અકસ્માત થયા હોય તેવા અનેક બનાવ બને છે. ખાડાને કારણે અકસ્માતથી માનવમૃત્યુ પણ વધ્યા છે.