Bhavnagar
ભાવનગરમાં સુન્ની દા’વતે ઈસ્લામીનો બે દિવસીય 21મો ઈજતેમા શાનદાર રીતે ઉજવાયો : સન્માન

દેવરાજ
સુન્ની દા’વતે ઈસ્લામી શાખા ભાવનગર દ્વારા 21મો વાર્ષિક બે દિવસીય સુન્ની ઈજતેમા ભાવનગર શહેરના વીઆઈપી ગ્રાઉન્ડ, મોતી તળાવ રોડ કાતે યોજાયો હતો. આ ઈજતેમામાં પ્રથમ દિવસે ફકત ઈસ્લામી બહેનો માટે ઈજતેમા યોજાયો હતો. જયારે બીજા દિવસે ઈસ્લામી ભાઈઓ માટે સવારે 10થી રાત્રીના 10 સુધી આખા દિવસનો ઈજતેમા યોજાયો હતો. આ ઈજતેમામાં અમીરે સુન્ની દા’વતે ઈસ્લામી હઝરત મૌલાના મોહંમદશાકીરઅલી નુરી (મુંબઈ), હઝરત મૌલાના સૈયદ મોમીનઅકબરબાપુ (પેશ ઈમામ અમીપરા મસ્જીદ), હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી (માલેગાંવ), હઝરત કારી મો. રીઝવાન કાદરી (મુંબઈ), હઝરત મુફતી સાબીર સાહબ (ભરૂચ) સહિતના મશહુર આલીમ સાહેબોએ પોતાની નુરાની ઝબાનમાં ઈસ્લાહી તકરીર ફરમાવી હતી.
આ સુન્ની ઈજતેમામાં ખાસ કરીને મૌલાના મોહંમદશાકીરઅલી નુરી સાહેબે ઈસ્લાહી તકરીર ફરમાવતા જણાવ્યું હતું કે, આ ઈજતેમાનો મુખ્ય હેતુ-ઉદ્દેશ એ છે કે ઈન્સાન નેક બને અને એક બને, પંજગાના નમાઝી બને, પવિત્ર કુર્આન શરીફની પેરવી કરે, અને તમામ બુરાઈથી દુર રહે તેજ આ ઈજતેમાનો મુખ્ય હેતુ છે.હઝરત શાકીર સાહેબે વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે, ઈન્સાન ઉપર ગરીબી, બેકારી, બિમારી અને મુસીબતો આવવાનું મુળ કારણ પોતાના ગુન્હાઓ હોય છે, ઈન્સાને તમામ ગુન્હાઓથી બચવું જોઈએ અને આ ઈજતેમામાં ભાવનગર શહેરના અમીપરા વિસ્તારમાં આવેલા દારૂલઉલુમ કાદરીય્યાહમાં ઈસ્લામી તાલીમ હાંસીલ કરતા વિદ્યાર્થી ભાઈઓ પૈકીના ત્રણ આલીમ, ત્રણ હાફીઝ અને એક કારીની ડીગ્રી અર્પણ કરવામાં આવી હતી તેજ રીતે ઈસ્લામીયાત ગર્લ્સમાં તાલીમ લેતી 14 વિદ્યાર્થી બહેનોને કારીઆહની ડીગ્રી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુન્ની ઈજતેમામાં સુન્ની દા’વતે ઈસ્લામી ટીમ ઉમ્મીદ દ્વારા એક ખાસ સેશનમાં શાળાઓમાં ભણતા ધો.10થી 12ના વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેમજ ધો.12 પછી પોતાના આગળના ભવિષ્ય માટે શું કરવું તેનું માર્ગદર્શન પણ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું.