Talaja
તળાજાના હબુકવડ ગામની નદીમાં હજારો માછલીઓના મોત

પવાર
કોઇએ ઝેરી વસ્તુ નાંખી કે કુદરતી મોત ? સંબધિત વિભાગ તપાસ કરે તેવી માંગ
તળાજાના હબુક્વડ ગામે આવેલ નદીમાં ગઇકાલ સાંજથી મરેલી અનેક માછલીઓએ તરીને પાણી ઉપર આવેલી ગ્રામજનોને જોવા મળી હતી. જે આજ સવાર થતા મરેલી માછલીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળેલ. જેને લઇ ગ્રામજનો અને ખાસ કરીને પશુપાલકો મા પશુઓને નદીએ પાણી પીવડાવવા લઈ જવાકે કેમ તેવા પ્રશ્ન સાથે ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઓચિંતા જ હજારો માછલીઓના મોત ક્યાં કારણો સર થયા છે તે બાબતે મત્સ્ય ઉદ્યોગ તંત્ર સહિતના સરકારી વિભાગો તપાસ કરે તે જરૂરી છે. કારણકે આ નદીમા ગામના દુધાળા સહિતના પશુઓ મોટી સંખ્યામાં હોય અને તેને ચરાવવા જતા સમયે નદીમાં પાણી પીવા માટે લઈ જતા હોય છે. શંકા વ્યક્ત કરતા કહ્યું હતુંકે કોઇ એ ઝેરી પદાર્થ નાખી દીધો હોય તો આ પાણી પીવાથી ગામના ખાસ કરીને પશુધન ઉપર ખતરો ઊભો થઈ શકે છે.
આ મામલે ગ્રામજનો એકઠા થયા હતા. બે દિવસથી મરેલી માછલીઓનાં કારણે આ વિસ્તારમાં અતિશય દુર્ગંધ મારવા લાગતા કુદરતી વાતાવરણ પણ બગડ્યું છે. તળાજા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને વર્ષો થી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા અયુબભાઈ દસાડિયા એ માછલીઓના અચાનક મોતને લઈ પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે સામૂહિક મોતના પાછળ પાણીમાં ઝેરી વસ્તુ ભેળવવાથી મોત નીપજે. તેઓએ બીજો અભિપ્રાય એવો પણ આપ્યો હતો કે વાદળ છાયું સતત વાતાવરણ રહે તો પાણીમાં ઓકસીજન ઘટે એટલે પણ મોત થાય.જોકે હાલ એવું વાતાવરણ નથી એટલે ઝેરી પદાર્થ પાણી સાથે ભળી જવાથી જ મોત થયા હોવા જોઈએ.