Gujarat
અલંગને ધમધમતુ કરવા રાજ્ય સરકારે રાહતનો પટારો ખોલ્યો

પવાર
કોરોના પછી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ મુશ્કેલીમાં છે : હાઉસીંગ સેસ માફ : ડેવલપમેન્ટ ચાર્જ સહિતના વિવિધ ચાર્જ ઘટાડવામાં આવ્યા
કોરોના પછી મંદીનો સામનો કરી રહેલ અલંગના શીપ બ્રેકીંગ ઉદ્યોગને નાણાકીય રાહત આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ૨૦૧૮-૧૯માં અલંગમાં ૨૧૯ જહાજો આવ્યા હતા, જે ઘટીને ૨૦૨૨-૨૩ ૧૩૧ થઇ ગયા હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડે આ વર્ષના માર્ચમાં આ ક્ષેત્રને નાણાંકીય રાહત આપવાની એક ભલામણ રજૂ કરી હતી, જે રાજ્ય સરકારે મંજૂર કરી છે. તેના અનુસાર ૨૦૦ રૃપિયા પ્રતિ ચોરસ મીટરની હાઉસીંગ સેસ માફ કરવામાં આવી છે અને ડેવલપમેન્ટ ચાર્જ ૩૨૭ રૃપિયા પ્રતિ ચોરસ મીટરથી ૫૦ ટકા ઘટાડીને ૧૬૩.૫૦ રૃપિયા પ્રતિ ચોરસ મીટર કરી દેવાયો છે. સરકરે રીસાયકલ થવા આવનાર ભારતીય જહાજો માટેની લાઇટ ડીસ્પ્લેસમેન્ટ ટનેજ (એલડીટી)નો દર પણ ૧૩૫ રૃપિયાથી ઘટાડી ૧૦૦ રૃપિયા પ્રતિ એલડીટી કરી નાખ્યો છે. આ રાહતના કારણે સરકાર પર વાર્ષિક ૩૦ કરોડ રૃપિયાનો બોજો આવશે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના એક સીનીયર અધિકારીએ કહ્યું કે પાડોશી દેશોમાં રીસાયકલીંગ ચાર્જીસ નીચા હોવાના કારણે અલંગમાં ડિસ્મેન્ટલીંગ માટે આવતા જહાજોની સંખ્યા ઘટી ગઇ છે. આ ઉદ્યોગે ઇમ્પોર્ટ ડયુટીમાં સંપૂર્ણ માફીની માંગણી કરી હતી, જે કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં સ્વીકારી લીધી હતી. અલંગમાં મંદીના કારણે ધંધાર્થીઓ અને મજૂરો બન્નેનું કામ ઘટી ગયું છે અને આ વિસ્તાર જે એક વખત જહાજ તોડવાના અવાજોથી ગુંજતો રહેતો હતો તે અત્યારે વેરાન દેખાઇ રહ્યો છે. અલંગ સોસીયા યાર્ડમાં શીપ બ્રેકીંગ યાર્ડના એક માલિકે કહ્યું કે અત્યારે ૧૮૩ શીપ બ્રેકીંગ યાર્ડમાંથી માત્ર ૨૫ યાર્ડમાં કામ ચાલુ છે. મોટાભાગના જહાજો હવે અલંગના બદલે બાંગ્લાદેશમાં જાય છે કેમકે બાંગ્લાદેશ ભંગારના ૬૦૦ ડોલર પ્રતિ ટન આપે છે. જ્યારે અલંગમાં ૫૧૫ થી ૫૨૦ ડોલર આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં ભંગારની આયાત પર પ્રતિબંધ હોવાથી તે માત્ર રીસાયકલ્ડ સ્ક્રેપ પર જ આધારિત છે અને એટલે તેઓ ભંગારના વધારે નાણા ચૂકવે છે.