Sihor
સિહોર થી નેસડા તરફનો રોડ ભાંગી ને ભુક્કો ; બિસ્માર રોડના કારણે ગ્રામજનોમાં ભભૂકતો રોષ

કુવાડિયા
સિહોર તાલુકા પંચાયતના ઉ.પ્રમુખ ઈશ્વરભાઈ કુવાડિયાએ ધારાસભ્ય સુધી રજુઆત કરી, કહ્યું કે અહીં રોડમાં ખૂબ ટ્રાફીક રહે છે, રોડ સારી ગુણવત્તાનો બને તો ટકી શકે, ચૂંટણી સમયે આ રોડને લઈ લોકો રોડ પર ઉતરી આવતા હતા
સિહોર નેસડા રોડની બિસ્માર હાલતથી હેરાન ગ્રામજનો ફરી નવાજુની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જો કે સિહોર તાલુકા પંચાયતના ઉ.પ્રમુખ ઈશ્વરભાઈ કુવાડિયાએ રોડ બનાવવા માટે ધારાસભ્યને પત્ર લખી તાકીદ કરી છે સિહોરથી નેસડા જવાનો માર્ગ સાવ તૂટી ભાંગીને ભુક્કો થઈ ગયો છે ચૂંટણી સમયે આ વિસ્તારના ગ્રામજનોએ હલ્લાબોલ કરી, રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અને જો આગામી ટૂંક સમયમાં જ આ રોડ અંગે કોઇ નક્કર નિર્ણય નહીં લેવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી હતી. સિહોર થી નેસડાને જોડતો ચાર કે પાંચ કિલોમીટરનો રોડ ખૂબ મોટા પ્રમાણમાં તૂટી ગયેલ છે નેસડા ગામના લોકો દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવેલી છે.
આ માર્ગ પર અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. પરંતુ કોઇ ચોક્કસ પગલાં લેવાતા નથી. નેસડા ગ્રામજનોને હટાણા માટે કે આરોગ્યલક્ષી સુવિધા માટે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સિહોર આવવું પડે છે. આ માર્ગ મગરની પીઠ જેવો બની જવાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે ગ્રામજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી માર્ગની બિસ્માર હાલતને લઈ ગ્રામજનોએ આંદોલનનું રણશિંગુ ફૂંકયું હતું જો કે ચૂંટણી સમયે અધિકારી અને પદાઅધિકારી ઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો જોકે બિસમાર રોડને લઈ સિહોર તાલુકા પંચાયતના ઉ.પ્રમુખ ઈશ્વરભાઈ કુવાડિયાએ ધારાસભ્ય સુધી લેખિતમાં રજુઆત કરીને કહ્યું છે કે અહીં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફીક રહે છે, રોડ સારી ગુણવત્તાનો બને તો ટકી શકે તેમ છે. જોવાનું રહ્યું કે ઈશ્વરભાઈની રજુઆત કેટલી અસરકારક નીવડે છે.