Bhavnagar
ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં મૃતક યુવકનું મોઢું કૂતરાએ ફાડી ખાધું, ચકચાર

પવાર
સર.ટી.હોસ્પીટલમાં રખડતા કૂતરાના આતંકનો વધુ એક કિસ્સો, સારવાર લેવા આવેલ અને હોસ્પીટલ કેમ્પસમાં સુઈ ગયેલા શખ્સનું ઊંઘમાં નિપજ્યું મોત, મોત બાદ ત્યાં રહેલા કૂતરાઓ એ મૃતક નો ચહેરો ફાડી ખાધો, હોસ્પીટલ તંત્રએ લાશને બિનવારસી માની પીએમ પણ કરી નાખ્યું, પોલીસને જાણ બાદ મૃતકના ખિસ્સામાંથી ઓળખ મળી આવતા લાશ પરિજનોને સોંપી.
ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં બનેલી ઘટનાથી ભારે ચકચાર મચી છે. જેમાં સારવાર માટે આવેલ નિર્મળનગર વિસ્તારના એક શખ્સ સારવાર ન મળતા અને હોસ્પીટલ કેમ્પસમાં આવેલ વિશ્રામગૃહમાં સુઈ જતા કોઈ બીમારી સબબ તેનું ઊંઘમાં જ મોત નિપજ્યું હતું.જ્યારે મૃત આ શખ્સના મોઢા સહિતના અંગોને ત્યાં રહેલા કૂતરાઓ એ ફાડી ખાતા હોસ્પીટલ તંત્ર સામે સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સારવાર માટે આવેલ સુરેશભાઈ પરસોત્તમભાઈ ભીલ નામનો શખ્સ કે જે સાંજના સમયે યોગ્ય સારવાર ન મળતાં અને તેની તબિયત વધુ નાદુરસ્ત હોય અને એકલો જ સારવાર માટે આવેલ હોય કે હોસ્પીટલ કેમ્પસ માં આવેલ વિશ્રામ ગૃહ માં સુઈ ગયો હતો અને તેનું નિંદ્રામાં જ કોઈ કારણોસર મોત નિપજ્યું હતું.લોકો આ શખ્સના મોત થી અજાણ હતા પરંતુ ત્યાં આંટાફેરા મારતા રખડતા કૂતરાઓ એ આ મૃતક શખ્સના ચહેરાના ભાગને ફાડી ખાધો હતો. મૃતક શખ્સ નિર્મળનગર વિસ્તારની શહેરી નંબર 5 માં રહેતો હોય તેમજ સર.ટી હોસ્પીટલ રોડ પર આવેલ એક નાસ્તાની દુકાનમાં કામ કરતો હતો.
આ ઘટનામાં મૃતક શખ્સનું મોઢુ ફાડી ખાધી ઘટના બાદ તંત્રને જાણ થતાં તેને બિનવારસી માની તેનું પીએમ કરી નાખ્યું હતું. ત્યારબાદ નિલમબાગ પોલીસતંત્રને જાણ કરતા અને મૃતક ના ખિસ્સા માંથી તેમની ઓળખાણ ના પુરાવા મળી આવતા તેમના પરિવારને જાણ કરી તેની લાશ તેમને સોંપી હતી. ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે નિર્મળનગરના યુવાનના ચહેરાને ફાડીખાધાની ઘટનાને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ હોસ્પિટલ તંત્ર સામે બળાપો કાઢતા કહ્યું કે હોસ્પિટલમાં લાંબા સમયથી રખડતા કૂતરાનો ત્રાસ વધ્યો છે,અવાર નવાર રખડતા કૂતરા હોસ્પીટલ કેમ્પસ અને હોસ્પિટલના વિવિધ વોર્ડમાં આંટાફેરા મારતા અને દર્દીઓને પરેશાન કરતાના વિડિયો સામે આવ્યા છે આમ છતાં હોસ્પિટલ પ્રશાસનનું પેટનું પાણી પણ નથી હલતું ત્યારે એક સારવાર લેવા આવેલ શખ્સને સમયસર સારવાર નહિ મળતા હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો જેના મોઢાના ભાગને રખડતા કૂતરાએ ફાડી ખાધો હતો ત્યારે હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગંભીરતા લેવામાં નથી આવતી અને આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ દર્દીને સરખા જવાબ પણ દેવામાં નથી આવતા અને મનમાની કરવામાં આવે છે.ત્યારે હવે તંત્ર જાગે તે જરૂરી છે..