Sihor
સિહોર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ શરૂ – 24 ફેબ્રુઆરીએ મુદ્દત પુરી : રાજકીય પક્ષોમાં ધમધમાટ

પવાર
-
શાસક અને વિપક્ષ મહત્તમ બેઠકો અંકે કરવા કવાયતમાં વ્યસ્ત, આપની ભૂમિકા પરત્વે મતદારોનો ઝોક કઈ તરફ રહે છે તે અંગે સિહોરના મતદારોમાં અટકળો અને ચર્ચા શરૂ
સિહોર નગરપાલિકાની વર્તમાન શાસકોની મુદત આગામી તા.૨૪ ફેબુ્રઆરીના રોજ પુરી થતી હોય આગામી ચૂંટણીના ઢોલ વાગી રહ્યા હોય રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ શરૂ થયેલ છે. બંને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીના સંદર્ભે ખાનગી રાહે મીટીંગોનો દોર શરૂ કરાયેલ છે. આ ચૂંટણીમાં નવા ઉભરી રહેલા આપની ભૂમિકા પરત્વે મતદારોનો ઝોક કઈ તરફ રહે છે તે અંગે અટકળો અને ચર્ચાઓ થઈ રહેલ છે. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જયારે ભાજપના ચાલુ સભાસદો પૈકી કેટલાક સભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી તેમના વોર્ડમાં કે મતદારોને દેખાયા નથી. તેમજ તેઓની કોઈપણ જાતની કામગીરી જણાતી નથી.જેથી આવા સભ્યો સામે મતદારો પણ વ્યાપક પ્રમાણમાં નારાજગી દાખવી રહ્યા છે. તેમજ ભાજપના અમુક સભ્યો ચૂંટાયા બાદ તેઓને ચોકકસ હોદાઓ નહિ મળવાને લઈને ભાજપની સામે વિપક્ષ સાથે રહી અને હંગામો મચાવતા રહ્યા, તેમજ મિડીયા સમક્ષ ગેરરીતિ અને ભ્રષ્ટાચારને લઈને ભાજપના સત્તાધીશો સામે બાયો ચડાવતા રહ્યા છે.
તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરીયાદો કરાઈ છે. આમ ભાજપના આવા સભ્યો પ્રમુખ માટે શિરદર્દ સમાન બની રહ્યા હતા. તેમજ ગત ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવારો પાંચ વર્ષ તેના વોર્ડમાં દેખાયા નથી.હાલમાં ટિકીટ મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ લાગવગ કરી ટીકીટ મેળવવા માટે ધમપછાડા કરી રહ્યા છે.તેમજ હાલના ચાલુ સભ્યો તેઓને રીપીટ કરવા માટે પણ દબાણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આવા સભ્યોને કે હારેલા ઉમેદવારોને બીજીવાર ટીકીટ અપાશે તો મતદારો પણ તેઓને સ્વીકારવા તૈયાર નથી દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ચાલુ સભાસદો તથા કાર્યકર્તાઓની મીટીંગ યોજી અત્યારથી જ દરેક વોર્ડમાં ઘરે-ઘરે શુભેચ્છા પાઠવવા જવાની અને મતદારોના જીવંત સંપર્કમાં રહેવાની સુચના અપાઈ હતી. ત્યારે ભાજપના ૩૬ બેઠકો જીતી લેવાના સપના સાકાર થશે ખરા ? જયારે સામા પક્ષે કોંગ્રેસની પણ જીતવાની તૈયારી છે ખરી તેવા સમયે આપ પક્ષની ભૂમિકા કેવી રહે છે તે જોવાનું રહ્યુ આગામી ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટી નિકળવાની સંભાવના રહેલી છે. આ અગાઉ સિહોરમાં નાગરિક સમિતિ શાસનકર્તા રહી ચૂકી હોય લોકોમાં નાગરિક સમિતિ બનાવવાની પણ સંભાવના સેવાઈ રહી છે. તેવા સંજોગોમાં મતદારોનો જોક કઈ તરફ રહે છે અને ૩૬ સીટના વાવેતર થશે કે નહિ તે જોવાનું રહેશે.