Bhavnagar
બાળકોને જીવના જોખમે સ્કૂલ વાહનોમાં બેસાડવા સામે રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની લાલ આંખ

બરફવાળા
ભાવનગર સહિત દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી જોખમી મુસાફરી સામે કાર્યવાહી કરાવવા આદેશ
રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે ચાલતા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોની જોખમી મુસાફરી સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ અપાયો છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ધ્યાને આ બાબત આવ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી જોખમી મુસાફરી સામે કાર્યવાહી કરવા અને તે અંગેની વિગતો મોકલવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત શાળાઓને પણ જોખમી મુસાફરી સામે જાગૃત કરવા માટે સૂચના અપાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી આગામી દિવસોમાં આવી જોખમી મુસાફરી કરાવતા સ્કૂલવાન- રિક્ષા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં આવેલી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા તથા ઘરે પરત જવા માટે સ્કૂલ વાન અથવા સ્કૂલ રિક્ષા જેવા ટ્રાન્સપોર્ટેશનના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આ વાહનોમાં કેટલા બાળકો બેસાડવા તે મર્યાદા નક્કી છે. પરંતુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાચાલકો મર્યાદા કરતા વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવતા હોવાનું અવારનવાર સામે આવે છે. ? વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે વિવિધ વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે ખૂબ જોખમીપ્રકારે થતું હોવાનું તેમજ તેના કારણે ઘણા જીવલેણ અકસ્માતો બનવા પામતા હોવાની બાબત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ધ્યાન પર આવ્યું હતું. જેથી આવા જોખમી ટ્રાન્સપોર્ટેશનને લીધે કોઈ ગંભીર ઘટનાઓ બનવા ન પામે અને વિદ્યાર્થીઓ અકસ્માતથી સુરક્ષિત રહે તે માટે આવા જોખમી ટ્રાન્સપોર્ટેશન માટે જવાબદાર શાળા, વાહનોના માલિકો, ટ્રાફિક કન્ટ્રોલ અધિકારીઓ સામે સત્વરે નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે કમિશનર ઓફ સ્કૂલ્સ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. ઉપરાંત કરેલી કાર્યવાહીની વિગતો આયોગને મોકલી આપવા માટે તાકીદ કરાઈ છે.