Sihor
સિહોરના વોર્ડ 5 કોમલરાજ ગ્રાઉન્ડ પાસે નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય
પવાર
સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે વોર્ડ 5 કોમલરાજ આજુબાજુમાં જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. દવાખાનાઓમાં દર્દીની લાઇનો લાગી રહી છે તેમ છતાં જવાબદાર નગરપાલિકા દ્વારા સેવાતા દુર્લક્ષ્ય સામે રોષની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. સિહોર શહેરના દરેક વોર્ડમાં તથા દરેક રોડ રસ્તાઓ પર તથા ખાંચા-ગલ્સલીઓમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીઓના થરો લાગી ગયા છે. કચરાપેટીઓ કે કચરા કુંડીઓ સમયસર ઉપડતી ન હોય એક એક માસ સુધી અમુક વિસ્તારોમાં આવા કચરાના ઉકરડા પડયા રહે છે. આવા ઉકરડાની કચરા કુંડીઓની આજુબાજુ વસતા નાગરિકોને ફરજિયાત પોત પોતાના મકાનોના બારી-બારણાઓ બંધ જ રાખવાની ફરજ પડે છે. એટલી હદે દુર્ગંધો મારે છે કે આવા વિસ્તારોમાં નીકળતા રાહદારીઓને પણ મોં ઉપર ફરજિયાત રૂમાલ રાખવો પડે છે.
જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ગટરો પણ ઉભરાવાની સમસ્યા અવાર-નવાર બને છે આવી ગંદકીઓના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે જેના કારણે રાત પડે ને જાણે સિહોર શહેરમાં મધમાખીઓના ઝુંડની જેમ મચ્છરોના ઝુંડ ઉડતા જોવા મળે છે અને આવા મચ્છરોના ત્રાસથી સિહોર શહેરની જનતાનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે. હાલ ઘરે ઘરે માંદગીઓ જેવી કે હાથ-પગના સાંધા પકડાઇ જવા, માથાના, પેટના દુઃખાવા, તાવના વા, મેલેરિયા, ટાઇફોડ, કમળો, ઝાડા-ઉલ્ટીના રોગો, લોહીના ટકા એકદમ ઘટી જવા, લોહીના ટકા એકદમ ઘટવાથી માણસની જીંદગી પણ જોખમાય છે. શરદી, ઉધરસ તેમજ ગળાના ઇન્ફેક્શન આવા અનેક રોગના ભોગ સિહોર શહેરની જનતા બની રહી છે જેના કારણે સરકારી તથા પ્રાઇવેટ દવાખાનાઓમાં દર્દીઓની લાઇનો લાગે છે અને ઘરે ઘરે માંદગીઓના ખાટલા લાગી રહ્યા છે ત્યારે સિહોર નગરપાલિકાનું સેનેટ્રી વિભાગ સ્વચ્છતા અભિયાનના નાટક જ કરીને હાથ પર હાથ દઇને બેસી રહ્યુ છે જેના કારણે સિહોર શહેરની આમ જનતાઓમાં વ્યાપક નારાજગી ઉત્પન્ન થવા પામી છે.