Sihor
સિહોર : નિયમિત સફાઇના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય

પવાર
ધનકેડી વિસ્તારમાં ગંદકીનું વધતું જતું સામ્રાજ્ય, લોકો ત્રસ્ત
સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર ઠેર જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. તેમ છતાં જવાબદાર નગરપાલિકા દ્વારા સેવાતા દુર્લક્ષ્ય સામે રોષની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. શહેરના દરેક વોર્ડમાં તથા દરેક રોડ રસ્તાઓ પર તથા ખાંચા-ગલ્સલીઓમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીઓના થરો લાગી ગયા છે. કચરાપેટીઓ કે કચરા કુંડીઓ સમયસર ઉપડતી ન હોય એક એક માસ સુધી અમુક વિસ્તારોમાં આવા કચરાના ઉકરડા પડયા રહે છે. આવા ઉકરડાની કચરા કુંડીઓની આજુબાજુ વસતા નાગરિકોને ફરજિયાત પોત પોતાના મકાનોના બારી-બારણાઓ બંધ જ રાખવાની ફરજ પડે છે.
એટલી હદે દુર્ગંધો મારે છે કે આવા વિસ્તારોમાં નીકળતા રાહદારીઓને પણ મોં ઉપર ફરજિયાત રૂમાલ રાખવો પડે છે. જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ગટરો પણ ઉભરાવાની સમસ્યા અવાર-નવાર બને છે આવી ગંદકીઓના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે. જેના કારણે રાત પડે ને જાણે સિહોર શહેરમાં મધમાખીઓના ઝુંડની જેમ મચ્છરોના ઝુંડ ઉડતા જોવા મળે છે અને આવા મચ્છરોના ત્રાસથી સિહોર શહેરની જનતાનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે. હાલ ઘરે ઘરે માંદગીઓ દેખાઈ રહી છે. સિહોર નગરપાલિકાનું સેનેટ્રી વિભાગ સ્વચ્છતા અભિયાનના નાટક જ કરીને હાથ પર હાથ દઇને બેસી રહ્યુ છે જેના કારણે સિહોર શહેરની આમ જનતાઓમાં વ્યાપક નારાજગી ઉત્પન્ન થવા પામી છે.