Sihor
સિહોર ; ધાણી-ખજૂરનાં ભાવમાં ગત વર્ષ કરતા 50 થી 60 ટકાનો વધારો

પવાર
હોળી ધુળેટીનાં પર્વને લઈને સિહોરની બજારોમાં ખરીદીની રોનક વધી, બજારમાં અવનવી પિચકારી અને ઓર્ગેનીક રંગોનું વેચાણ
આગામી તા.૭-૮ માર્ચના રોજ રંગોના પર્વ હોળી-ધુળેટીની ઉજવણી થનાર હોઈ આ તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી બજારમાં ધાણી-ખજુરની ખરીદીની રોનક જોવા મળી રહી છે. જો કે, ગત વર્ષ કરતા ૫૦ થી ૬૦ ટકાનો ભાવ વધારો થયો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, હોળી-ધુળેટીના પર્વને હવે માંડ બે ત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે સિહોરની બજારમાં ધાણી, ખજુર, દાળીયા, સીંગનો જથ્થો મોટીસંખ્યામાં ઠલવાયો છે. નાના-મોટા દુકાનદારો અને લારીઓમાં ધાણી-ખજુરનું વેચાણ થઈ રહ્યું છે.
હોળી-ધળેટીનાં પર્વ ઉપર ધાણી-ખજુર ખાવાનું મહત્વ છે. હોલીકા દહન વખતે પણ ધાણી-ખજુર-દાળીયા વિગેરે પ્રજ્જવલિત અગ્નિમાં નાંખવામાં આવે છે. સિહોર શહેર સહીત જીલ્લામાં હાલ ધાણી-ખજુરનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. જો કે, તેમાં ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધતા અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ધાણી-ખજુરનાં ભાવમાં વધારો જોવા મળતો હોવાનું વેપારીઓ જણાવે છે. મોટાભાગે ધાણી-ખજુર અમદાવાદ, જામનગર જેવા શહેરોમાંથી સિહોરની બજારમાં આવતી હોવાનું જાણવા મળેલ છે. ધાણી-ખજુરની સાથે સાથે બજારમાં અવનવી પિચકારી અને રંગોનું વેચાણ પણ થઈ રહ્યું છે. બજારમાં ૩૦ રૂા. થી લઈને ૫૦૦ રૂા. સુધીની અવનવી વેરાઈટીમાં પિચકારી મળે છે. બાળકોમાં ખાસ કરીને આર્મીગનવાળી પિચકારી, સ્પાઈડરમેન અને છોટા ભીમવાળી પિચકારીનું વધુ આકર્ષણ હોવાનું જાણવા મળેલ છે.