Sihor
સિહોરના ગુંદાણાના મુખ્ય માર્ગો પર ગટરના પાણી ઉભરાયા, રોગચાળો ફેલાવાની ભીતિ

પવાર
- નગરપાલિકા ઉપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વિસ્તારમાં નર્ગાકાર જેવી સ્થિતિ, રહીશો નર્કાગારની સ્થિતિમાં રહેવા મજબૂર, રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સિહોર શહેરના ગુંદાણાના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાતા સ્થાનિકો અસહ્ય દુર્ગંધને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. ગટરના પાણી ફળિયા જાહેર માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહિશોને ગંદા પાણી ડહોળી ને પસાર થવાની ફરજ પડી રહી છે. આ સમસ્યા અંગે હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો હજુ સુધી નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. શહેરના ગુંદાણા વિસ્તારના, નંદનવન સોસાયટી, બજરંગ સોસાયટી, રામનગર પ્લોટ જવાના માર્ગે છેલ્લાં ઘણાં સમયથી મુખ્ય રોડ પર આવેલ ગટર ઓવરફ્લો થઈ રહી છે. આ ગટરના પાણી ઉભરાતા વિસ્તારના લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. વિસ્તારમાં આવેલ મકાનોના રહીશોને આ સમસ્યાને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતાં રહીશોને પસાર થવા માટે ગંદા પાણીમાં પગ મૂકી અવરજવર કરવાની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરાંત ગટર નું ગંદુ પાણી ઉભરાતા રહીશોને દુર્ગંધ ભર્યા વાતાવરણમાં રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વિસ્તારના લોકોમાં ઉભી થઇ હતી. તંત્રમાં રજૂઆત કરવા છતા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા લોકો રોષે ભરાયા છે. મુખ્ય રોડ પર ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાનું સ્થાનિકો જણાવે છે લોકો રોગચાળાનો ભોગ બને તે પહેલા સત્વરે ગટરની સાફ સફાઈ કરવા માંગણી ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વિસ્તારમાં નર્ગાકાર જેવી સ્થિતિ સર્જાતા રહીશો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે