Sihor
જયા-પાવર્તીના જાગરણમાં ખોટો ‘ઉજાગરો’ કરનારા રોમિયોની ‘ખો’ ભૂલાવી દેશે સિહોર પોલીસ

બરફવાળા
સિહોર પોલીસ પીઆઇ ભરવાડ અને સમગ્ર સ્ટાફ સમગ્ર શહેરમાં ફરી વળશે, રાત્રે 10 વાગ્યાથી હરવા-ફરવાના સ્થળો ઉપરાંત રાજમાર્ગો ઉપર કાફલો તૈનાત થઈ જશે; જ્યાં સુધી જાગરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી સઘન પેટ્રોલિંગ કરશે
આજે જયા-પાવર્તીના જાગરણનો પવિત્ર તહેવાર છે જેને ઉજવવા માટે કુમારિકાઓ થનગની રહી છે. ખાસ કરીને આ દિવસે મહત્તમ યુવતીઓ આખી રાત જાગરણ કરતી હોવાથી મોડીરાત્રે પરિવારજનો સાથે હરવા-ફરવા માટે બહાર નીકળતી હોય છે. જો કે આ જ સમયે પોતાને કશું લાગતું-વળગતું ન હોવા છતાં ખોટો ‘ઉજાગરો’ કરવાની અમુક તત્ત્વોને કુટેવ હોવાને કારણે આ તત્ત્વો પર્વની ઉજવણી કરતી મહિલાઓ-યુવતીઓને પજવે નહીં તે માટે સિહોર પોલીસ પીઆઇ ભરવાડ અને સ્ટાફ સઘન પેટ્રોલિંગ કરશે અને પોલીસ રોમિયોની ‘ખો’ ભૂલાવી દેશે રાત્રે દસ આસપાસના ટકોરે પોલીસ સ્ટાફ ઠેર-ઠેર ગોઠવાઈ જશે અને જ્યાં સુધી જાગરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચુસ્ત બંદોબસ્ત જાળવશે.
ખાસ કરીને પોલીસ સ્ટાફને હરવા-ફરવાના સ્થળો ઉપર સઘન પેટ્રોલિંગ કરવા તેમજ રોમિયોનું ચેકિંગ કરશે જાહેર સ્થળો એ મોડીરાત્રે સહેલાણીઓ ફરવા જતા હોવાથી ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે તો શહેરની હોટેલોમાં પણ પોલીસનું ચેકિંગ થનાર હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા જાગરણોમાં અનેક રોમિયો પોલીસને ઝપટે ચડી ગયા બાદ ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનું બન્યું છે ત્યારે આ વખતે પરાણે ઉજાગરો કરીને યુવતીઓને પજવનારા રોમિયોને ઉઠક-બેઠક કરતા પણ કડક સજા કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. એકંદરે આજનો તહેવાર શાંતિપૂર્વક ઉજવાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને રાત્રે દસના ટકોરે જ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરનાર છે.